શાળામાં બાળકોને ના મોકલી વાલીઓએ નોંધાવ્યો ફી અંગેનો વિરોધ
શાળાના ફી નિયમો મામલે ચાલી રહેલા વાલી અને સરકાર વચ્ચેના વિરોધના પગલે આજે શાળામાં પોતાના બાળકોને ના મોકલીને વાલીઓએ નોંધાવ્યો વિરોધ. જો કે આ વિરોધને મળ્યો છે મિશ્ર પ્રતિસાદ. તેમ છતાં સરકાર આવી છે ભીંસમા
રાજ્ય સરકાર જે ફી વિધેયક મામલે એક તરફ સન્માન સમારંભ જેવા કાર્યક્રમો માણી રહી છે ત્યાં જ બીજી તરફ 2017ની ફી ડિફરન્સની રકમ પરત ના મળતા વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વિરોધના કારણે ગુરુવારે મોટા ભાગની સ્કૂલોમાં વાલીઓએ તેમના બાળકોને શાળાએ ના મોકલીને વિરોધ નોંધાવ્યો છે. વાલીઓએ જ સ્કૂલ બંધનું એલાન આપ્યું હતું. જેમાં અમદાવાદની અનેક શાળામાં વિદ્યાર્થીઓએ તેમના બાળકોને ના મોકલીને વિરોધ નોંધાવ્યો છે. વળી આ અંગે વોટ્સઅપ ગ્રુપમાં પણ બાળકોને ન મોકલવા વાલી સંગઠનોએ અપીલ કરી હતી. સાથે જ આજે આ અંગે વાલીઓ ભેગા મળી વિરોધ પ્રદર્શન કરશે તેવી માહિતી પણ જાણવા મળી છે. જો કે બીજી તરફ શાળા પ્રશાસન દ્વારા બુધવારે, બાળકોને શાળામાં હાજર રહેવાની અપીલ કરી હતી. સાથે જ આ મામલે સરકાર પણ મેદાનમાં પડી છે. સરકાર આ અંદોલને મોટું સ્વરૂપ આપવા નથી ઇચ્છતી અને માટે જ આંદોલન તોડવા માટે સરકારે પ્રયાસો કરી રહી છે.
જો કે નોંધનીય છે અમદાવાદ અને વડોદરામાં શાળામાં વિદ્યાર્થીઓને ના મોકલીને જ્યાં એક તરફ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યાં જ બીજી તરફ રાજકોટ અને સુરતમાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજરી આપી હતી. આમ આ વિરોધને ગુજરાતાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વળી શહેરો છોડી નાના ગામોમાં આ વિરોધની અસર ભાગ્યે જ જોવા મળી છે. વધુમાં હાર્દિક પટેલ પણ વાલીઓ સાથે આ મામલે ચર્ચા કરવાની વાત કરતા જ સરકાર આ મામલે ઊંઘમાંથી જાગી છે. અને વાલીઓના રોષનું મોટું આંદોલન ના બને તે માટે પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના ફી નિયમનના આ નિર્ણયને હાઇકોર્ટે પણ લીલી ઝંડી આપી દીધી છે. અને 2018થી તેને લાગુ કરવાની વાત પણ સ્વીકારી છે.