ગુજરાત ચુંટણી : કોંગ્રેસે 52 મહારથીઓની યાદી કરી જાહેર
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 52 ઉમેદવારોમાંથી 25 ચાલુ ધારાસભ્ય છે. 52 ઉમેદવારોમાં 22 પ્રથમ ચરણની ચુંટણીના ઉમેદવાર છે. જ્યારે 30 ઉમેદવાર બીજા ચરણની ચુંટણી લડશે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાને ફરીથી પોરબંદરની ટીકીટ મળી છે.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને ભાવનગર ગ્રામીણ વિધાનસભા વિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ ડભોઇથી ચુંટણી લડશે.
રાજકોટથી તાજેતરના સાંસદ કુંવરજી બાવળિયાને ભાવનગર જિલ્લાના બોટાદની ટિકીટ આપવામાં આવી છે. બોટાદ ગુજરાતના વિજમંત્રી સૌરભ પટેલનો મત વિસ્તાર છે. બાવળિયા કોળી સમુદાયના છે અને બોટાદમાં મોટી સંખ્યામાં કોળી સમુદાય વસે છે.
આ સિવાય કોંગ્રેસના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશને રાજકોટ જિલ્લાના જેતપુરની ટિકીટ આપવામાં આવી છે. વરિષ્ઠ નેતા નટવરલાલ પટેલને મહેસાણાની ટિકીટ આપવામાં આવી છે. ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં સાથે જોડાયેલા જીતુ પટેલને અમદાવાદના નારાયણપુરાની ટિકીટ આપવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 15 વર્ષોથી સત્તા મેળવી શકી નથી અને તે આશા વ્યક્ત કરી રહી છે કે આ વખતે તે નરેન્દ્ર મોદીનો ગઢ જીતી લેશે.
કોંગ્રેસના 52 મહારથીઓના નામ પર એક નજર
ચુંટણી પંચે ગુજરાતમાં પ્રથમ ચરણના મતદાન માટે જાહેરનામું રજૂ કરી દિધું છે. પ્રથમ ચરણમાં 87 સીટો માટે 13 ડિસેમ્બરના રોજ ચુંટણી યોજાશે. બાકીની 95 સીટો માટે 23 નવેમ્બરે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. બીજા ચરણનું મતદાન 17 ડિસેમ્બરે યોજાશે અને તેના પરિણામો 20 ડિસેમ્બરે જાહેર કરાશે.