ભાજપને કોઇ હરાવી નહીં શકે, જો બધા બૂથમાં કમળ ખીલ્યું તો: પાલનપુરમાં મોદી
મહેસાણા પછી પાલનપુરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી જનસભા. પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં પીએમ મોદીએ શુંં કહ્યું જાણો અહીં.
ગુજરાત વિધાનસભાના પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે ભાજપ અને કોંગ્રેસની નજર બીજા તબક્કાની ચૂંટણી પર છે. ત્યારે બીજા તબક્કા માટે ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા અર્થે ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના ખૂણે ખૂણે જનસભાઓ યોજી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે એક જનસભાને સંબોધી હતી. જેમાં ભાજપની જીતના આશાવાદ સમેત કોંગ્રેસ પર પ્રહારો કરીને પીએમ મોદીએ ભાજપ માટે વોટ કરવાની અપીલ લોકો સામે કરી હતી. નોંધનીય છે કે મહેસાણા સમતે પાલનપુરમાં પણ પાટીદાર આંદોલનનો ઝુવાળ વધુ જોવા મળે છે.
આ પ્રસંગે ભાજપની આ ચૂંટણીમાં જીત થશે તેવા આશાવાદને વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે જો બધા પોલીંગ બૂથમાં કમળ ખીલ્યું તો દુનિયાની કોઈ તાકાત નથી કે ભાજપને હરાવી શકે. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે કોંગ્રેસમાં ગયા 10 વર્ષમાં એમણે જેમને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એના જે ખિતાબ આપ્યા છે એના નામ કાઢો અને મોદીએ ગયા 3 વર્ષમાં પદ્મશ્રી, પદ્મભૂષણ કોને આપ્યા છે એના નામ કાઢો તો ખબર પડશે કે અમીરોને ત્યાં કોણ કામ કરે છે અને ગરીબો માટે કોણ કામ કરે છે. મણિશંકર વિવાદ પર બોલતા પાલનપુરમાં મોદીએ કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરના ઘરે પાકિસ્તાનના હાઈ કમિશનર, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી, ભારતના ભૂતપૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હમીદ અન્સારી અને ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની 3 કલાક સુધી મિટીંગ ચાલી અને બીજા જ દિવસે મણીશંકરે મોદીને નીચ કહ્યા.
વધુમાં આ સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. અને જનસભામાં બોલતા રૂપાણીએ કહ્યું હતું કે મનમોહનસિંહ જે 10 વર્ષ સુધી કંઈ બોલ્યા નહોતા એ બોલતા થયા અને એ પણ બાર વરસે બાવો બોલ્યો એના જેમ, એના કરતાં ના બોલ્યા હોત તો સારું. નોંધનીય છે કે ગુજરાતમાં આ ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ સમાન છે ત્યારે ભાજપ હાલ તો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે.