રોજગાર કચેરી દ્વારા જોબ આપવામાં ગુજરાત અવ્વલ નંબરે
રોજગાર કચેરીઓ દ્વારા સૌથી વધુ જોબ આપવાના મામલામાં ગુજરાત પહેલા નંબર છે, પાંચ વર્ષમાં 18 લાખથી વધુનો નોકરી આપી.
લોકસભા 2014ની ચૂંટણી દરમિયાન બેરોજગારી, ભ્રષ્ટાચાર અને કાળાનાણા જેવા મુદ્દાઓને આગળ ધરી પીએમ મોદીની આગેવાનીમાં ભાજપે પ્રચાર પ્રસાર કર્યો હતો અને જો સત્તા આપવામાં આવશે તો દેશમાંથી ભ્રષ્ટાચાર ઘટાડવા, રોજગારી વધારવા અને દેશમાં તથા દેશની બહાર રહેલ કાળાનાણાને પરત લાવવાનો વાયદો કર્યો હતો. આ બધા વચ્ચે રાજ્ય સરકારને રોજગારી વધારવામાં મહદઅંશે સફળતા મળી હોય તેવું જણાઈ રહ્યું છે.
ત્યારે વિપક્ષે સંસદ સત્ર અને વિવિધ રેલીઓમાં ભ્રષ્ટાચાર અને કાળાનાણા મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જીએસટી અને નોટબંધી સમયે પણ ભાજપ સરકારને ભારે વિરોધ થયો હતો. જો કે નોટબંધી અને જીએસટીના કારણે નાના અને લઘુ ઉદ્યોગોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિ (CMIE)એ જાહેર કરેલા ડેટા મુજબ નોટબંધી દરમિયાન માત્ર એક જ વર્ષમાં દેશભરમાંથી 20 લાખ જેટલી નોકરીઓ છીનવાઈ ગઈ હતી.
જો કે તમામ વિવાદો અને આરોપો પ્રતિઆરોપો વચ્ચે ગુજરાત સરકારે રોજગારી વધારવામાં સફળતા મેળવી છે. ગુજરાત સરકારના માહિતી ખાતા મુજબ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. રોજગાર કચેરી દ્વારા છેલ્લા 5 વર્ષમાં રાજ્યના 18,49,565 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
માહિતી મુજબ ગુજરાતના યુવાનોને રોજગારી અપાવવા રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 11,41,084 ભરતી મેળાઓ યોજવામાં આવ્યા હતા. 2018માં 900 રોજગાર મેળા થકી 3 લાખ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રજ્ય સરકારના માહિતી ખાતાએ આપેલી માહિતી મુજબ મહિલાઓને રોજગારી પૂરી પાડવાના મામલામાં પણ ગુજરાત પ્રથમ નંબરે છે.