'પદ્માવતી'ની રિલીઝ અટકાવવા ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી વધુ વિવાદોમાં ફસાઇ છે. ગુજરાતમાં ફિલ્મના કલાકારો પ્રમોશન માટે અમદાવાદ આવવાના છે. આ અંગે વધુ વાંચો અહીં.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ફસાયેલી રહી છે, ત્યારે ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ ફિલ્મની રિલીઝ રોકવા માટે પીઆઈએલ કરવામાં આવી છે. જેમાં અરજદાર રાજ શેખવાતે જણાવ્યું છે કે, 'આ ફિલ્મમાં રાણી પદ્માવતી અંગે ખોટું ચિત્રણ કરવામાં આવ્યું છે. અલ્લાઉદ્દીન ખીલજી અને પદ્માવતી વચ્ચે કોઈ સંબંધ હતો જ નહીં, આ બાબતનો ઉલ્લેખ જૈન ધર્મના 14મી અને 16મી સદીમાં લખાયેલા પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે આ ફિલ્મના કારણે પદ્માવતી અને રાજપૂત સ્ત્રીનું અપમાન પણ થયું છે. પદ્માવતી ખૂબ સન્માનીય હતા. જેથી આ ફિલ્મ રિલીઝ થાય તો વિવાદ વધુ વકરી શકે તેમ છે. જેથી આ ફિલ્મની રિલીઝ ગુજરાત તેમજ ભારતભરમાં અટકાવવામાં આવે.
ભાજપ નેતાઓએ પણ કરી હતી રજૂઆત
આ જાહેર હિતની અરજીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના માહિતી પ્રસારણ વિભાગ, ફિલ્મ સેન્સર બોર્ડ, ભણસાલી ફિલ્મ અને વાઈકોમ 18ને પાર્ટી બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં હાઇકોર્ટ દ્વારા આ અંગે સુનવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપના નેતાઓ દ્વારા પણ ચૂંટણી પંચ સામે રજૂઆત કરવામા આવી હતી કે, ચૂંટણી દરમિયાન આ ફિલ્મ રજૂ થાય તો રાજ્યની શાંતિ પર અસર પડી શકે તેમ છે. જો કે, આ ફિલ્મની રિલીઝ પર હજુ સુધી અધિકૃત રીતે કોઇ રોક લગાવવામાં નથી આવી.
રાજપૂત સમાજની ચીમકી
આગામી દિવસોમાં ફિલ્મ પદ્માવતીના મુખ્ય અભિનેતાઓ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પ્રમોશન માટે આવવના છે. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરની આ અમદાવાદ મુલાકાત મામલે ગુજરાત રાજપૂત સમાજે સરકાર તથા આયોજકોને ચીમકી આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં આનો વિરોધ ચાલે છે અને આમ છતાં પ્રમોશન માટે તેઓ આવવાના હોય તો સરકારી અધિકારીઓ તેમને પરવાનગી આપતા પહેલાં વિચારે. જો કોઈ પણ જાતનું નુકશાન થાય તો અમારી જવાબદારી નથી. જો કંઇ તોફાન થયું તો એની જવાબદારી રાજપૂત સમાજ નહીં લે.