ગુજરાત : રિક્ષાચાલક સંઘે સરકારને 72 કલાકની ચેતવણી આપી
આજે રિક્ષા ચાલક સંઘ રાજ્યના પરિવહન મંત્રીને મળ્યું હતું અને પોતાની સમસ્યાઓની રજૂઆત કરી સીએનજી ગેસમાં કરવામાં આવેલો ભાવ વધારો પાછો ખેંચવા અથવા તો લઘુત્તમ રિક્ષા ભાડું રૂપિયા 15 અને રનિંગ મીટર ભાડું રૂપિયા 12 કરી આપવાની માંગણી કરી હતી.
તેમની માંગણીને રાજ્ય સરકારે નકારી કાઢી છે. આ મુદ્દે સરકાર તરફથી હજી સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ કારણે હવે રિક્ષા ચાલકો 72 કલાક સુધી સરકારને સમય આપશે. આ સમય દરમિયાન તેઓ વિરોધ પ્રદર્શનો અને દેખાવો ચાલુ રાખશે. સરકાર તેમની માંગણી નહીં સ્વીકારે તો જેલ ભરો આંદોલન કરશે.
ઉલ્લેખનીય છે કે અદાણી એનર્જી કંપની દ્વારા સીએનજીના ભાવમાં રૂપિયા 7.15 અને પીએનજીમાં સાત રૂપિયાનો તેમ જ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન દ્વારા સીએનજીના ભાવમાં રૂપિયા 6.70 અને પીએનજી (ડોમેસ્ટિક)ના ભાવમાં રૂપિયા 3.32નો વધારો કર્યો છે.
આ વધારા સામે અગાઉ રિક્ષા ચાલકો 17 જાન્યુઆરી, 2013 ગુરુવારે મધરાતથી 72 કલાકની હડતાળ પર ઉતર્યા હતા. ત્યાર બાદ 26 જાન્યુઆરી, 2013થી બેમુદતી હડતાલ પર ઉતરવાના હતા. આ દરમિયાન સરકારે વાતચીત માટે પહેલ કરતા રિક્ષા ચાલકોએ બેમુદતી હડતાલ મોકૂફ રાખી હતી અને આજે સરકાર સાથે બેઠક યોજી હતી.