ગુજરાતમાં પ્રથમ પેરિશેબલ એરકાર્ગો પોતાની કામગીરી શરૂ કરશે
અમદાવાદ, 7 જુલાઇ : ગુજરાતનું પ્રથમ પેરિશેબલ (નાશવંત વસ્તુઓ) કાર્ગો કોમ્પ્લેક્સ બે વર્ષ પહેલા જ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બંધાઇને તૈયાર હતું, જો કે ત્રીજી પાર્ટીને મંજુરી નહીં આપવાની યુપીએ સરકારની નીતિને કારણે તેનું ઉદધાટન થઇ શક્યું ન હતું. હવે તેને શરૂ કરવા માટે નીતિમાં થોડા બદલાવની જરૂર છે. તેમ કરવામાં આવતા ખેતીની ઝડપથી નાશ પામતી વસ્તુઓને વિદેશના બજારોમાં પહોંચાડવાનું વધારે ઝડપી બનશે. આ માટે એરકાર્ગો કોમ્પેલક્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)એ એમ કહીને આ કાર્ગો કોમ્પેલક્સનો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાની એમ કહીને ના પાડી હતી કે રાજ્ય સરકારે નીતિનો ભંગ કર્યો છે. આ કાર્ગો કોમ્પ્લેક્સ ગુજરાત રાજ્યની કંપની ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (જીએઆઇસી) દ્વારા કૃષિ પેદાશોની નિકાસ વધારવા માટે બાંધવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે એએઆઇ દ્વારા રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના (આરકેવીવાય) હેઠળ એરપોર્ટ ખાતે જીએઆઇસીને 3600 ચોરસ મીટરની જમીન માત્ર એક રૂપિયાના ભાડાપટ્ટે આ કોમ્પેલક્સના બાંધકામ માટે ફાળવી હતી.
આ કાર્ગો કોમ્પ્લેક્સનું બાંધકામ રૂપિયા 5 કરોડના ખર્ચે વર્ષ 2012માં પૂરું થઇ ગયું હતું. ત્યાર બાદ આ કોમ્પ્લેક્સના ઉદઘાટનના થોડા દિવસ પહેલા જ એએઆઇના ધ્યાનમાં આવ્યું કે નિયમ મુજબ એઓઆઇને જાણ કર્યા વિના જ આ યોજનામાં કાર્ગો સર્વિસ સેન્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (સીએસસી)ને ત્રીજી પાર્ટી તરીકે યોજનામાં લાભકર્તા બનાવવામાં આવી હતી. આ કારણે તેનું ઉદઘાટન અટકાવી દેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ છેલ્લા એક વર્ષથી ભાજપના ગુજરાતના સાંસદો જેમ કે પુરુષોત્તમ રૂપાલાએ યુપીએ સરકારના ઉડયન પ્રધાન અજીત સિંહ સહિતના નેતાઓને કોમ્પ્લેક્સને એનઓસી આપવા માટે મુલાકાત યોજી હતી. જો કે અત્યાર સુધી તેનો કોઇ ઉકેલ આવી શક્ય નથી. હવે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર આવતા તેના કાર્ય વચ્ચેનો અવરોધ દૂર થવાની શક્યતા છે.