ગુજરાતના સોજીત્રામાં બાથરૂમમાં મગર જોઇને પરિવારના હોંશકોંશ ઉડી ગયા
આણંદ, 30 જુલાઇ : ગયા સપ્તાહે સમાચાર આવ્યા હતા કે ભારે વરસાદને પગલે 400 મગરોનું નિવાસ સ્થાન ગણાતી વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે કેટલાક મગરો નદીની બહાર આવીને શહેરમાં ઘૂસી ગયા છે. જો કે એક માન્યામાં ના આવે એવી ઘટનામાં આણંદના સોજીત્રા ગામમાં એક ઘરના બાથરૂમમાં 5 ફૂટનો મગર ઘૂસી જતા પરિવારના હોંશકોંશ ઉડી ગયા હતા.
સોજીત્રામાં રહેતા ભરતભાઇ પટેલના ઘરમાં આ કિસ્સો બન્યો હચો. આ ઘટના 21 જુલાઇ, 2014ના રોજ બની હતી. ભરતભાઇ સવારના પહોરમાં જ્યારે બાથરૂમમાં નહાવા માટે જવા માટે બાથરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેમના હોંશ ઉડી ગયા હતા. તેમની સામે બાથરૂમના એક ખૂણામાં 5 ફૂટ લાંબો મગર આરામથી બેઠો હતો. તેમણે તરત જ દરવાજો બંધ કર્યો અને પાડોશીઓને આ વાતની જાણ કરી.
પાડોશીઓને જાણ કરતા કોઇકે તેમને વન વિભાગનો સંપર્ક સાધવાની સલાહ આપી હતી. વન વિભાગનો સંપર્ક સાધતા જ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. સાંકડી જગ્યામાં મહામહેનતે મગરને પકડીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો.
વન અધિકારીઓએ પકડેલા મગરને આણંદ જિલ્લાના માલાતાજ ગામમાં આવેલા તળાવમાં છોડી દીધો હતો. વન અધિકારીઓનું માનવું છે કે ભારે વરસાદને પગલે તળાવો કે નદીઓ ઓવરફ્લો થાય છે. તે સાથે મગરો પણ તણાઇને શહેરમાં આવી ચડે છે અને સુરક્ષિત સ્થાન શોધતા બાથરૂમમાં પહોંચી જાય છે.