ST : ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ સામેના ડિફોલ્ટ કેસનો નિકાલ
એસ.ટી.નિગમનો ઐતિહાસિક નિર્ણયઃ ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ સામેના ડિફોલ્ટ કેસનો નિકાલ. જાણો આ અંગે વધુ વિગતો અહીં
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ૧૦,૦૦૦ જેટલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ પ્રતિ માનવીય અભિગમ દાખવીને તેમની સામેના અતિ ગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓ અને કેસોમાં તા. ૧૫મી માર્ચે જાહેર કાર્યક્રમોમાં ઓપન હાઉસમાં સમીક્ષા કરી હતી અને જ્યાં અનિવાર્યતા હોય ત્યાં , જરૂર પડે હળવી શિક્ષા કરીને ઝુંબેશની જેમ કેસોનો નિકાલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. એસ.ટી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સચિવે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પરિવહન નિગમના ૧૬ વિભાગો અને ૧૨૫ ડેપોમાં ફિલ્ડમાં ફરજ બજાવતા જુદા-જુદા સંવર્ગના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ સામે અતિ ગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓ અને કારણોસર ખાતાકીય કાર્યવાહી ચાલતી હોય છે. આવા કર્મચારીઓ સામે ડિફોલ્ટ કેસો અને ડિફોલ્ટ રિપોર્ટસ થયેલા હોય છે.
અને આ કેસનો નિકાલ ન આવતા આવા કર્મચારીઓ માનસિક તાણ અનુભવતા હોય છે, જેને કારણે તેમની ફરજની કામગીરી પર પણ નકારાત્મક અસર થાય છે. આવા ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ પર સરકાર સકારાત્મક અસર ઉભી થાય તેમજ ભવિષ્યમાં આવા ગુન્હાનું પુનરાવર્તન ન થાય, કર્મચારીઓ સજાગ થાય અને તેમને સુધરવાની તક મળે તે માટે આ નિર્ણ લેવામાં આવ્યો છે
સાથો સાથ નિગમ સામેના કોર્ટ કેસોના પ્રશ્નો પણ નિવારી શકાય એવા શુભ આશયથી નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત માનવીય અભિગમ દાખવીને આવા કેસોની સમીક્ષા કરાશે. જરૂર પડે હળવી શિક્ષા કરીને ઝુંબેશની જેમ કેસોનો નિકાલ કરાશે. આથી આ નિર્ણય અંતર્ગત સમગ્ર રાજ્યમાં પરિહનના ૧૬ વિભાગો અને ૧૨૫ ડેપો ખાતે નિગમના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પારદર્શિતાથી ઓપન હાઉસ માધ્યમથી જાહેર કાર્યક્રમ કરીને ડિફોલ્ટ કેસોના નિકાલની ઝુંબેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં જે સજાપાત્ર કર્મચારી હતા તેમને હળવી સજા કરીને કામ પ્રત્યે જવાબદારીથી વર્તવાની શીખ પણ આપવામાં આવી હતી. આ પ્રકારે એસ.ટી નિગમે જે નિર્ણ લીધો તે ઘણો અસરકારક રહ્યો હતો અને એસ.ટી.ના કર્મચારીઓ અને સંગઠનોએ પણ આ ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો હતો. રાજ્યભરમાં ઓપનહાઉસમાં પારદર્શકતા પૂર્વક જે કાર્યવાહી થઈ તેને પણ આવકારી હતી.