કોરોનાના કહેર પર માવઠાની માર, ક્યાંક ઝાપટા તો ક્યાંક ગાજવીજ સાથે કમોસમી વરસાદ
એક તરફ જ્યાં રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યાં બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતો પર માવઠાની માર પડી રહી છે.
અમદાવાદઃ એક તરફ જ્યાં રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યાં બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતો પર માવઠાની માર પડી રહી છે. કચ્છના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ ચાલુ જ છે. કચ્છમાં રાપરના ખીરઈ ગામમાં કરાનો વરસાદ પડ્યો હતો જેના કારણે ઉભા પાકને નુકશાન થયુ છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં છેલ્લા 3 દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે. ભચાઉમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતા ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે.

આ ઉપરાંત પોરબંદરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા છે. પોરબંદરના બરડા પંથકમાં વધુ વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકશાન થયુ છે. બરડા પંથકમાં લગભગ અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઉભા પાકને નુકશાન થયુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ધાણા, જીરુ, ચણા અને ઘઉં જેવા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે.
રાજ્યના મોટાભાગના તાલુકામાં વરસાદનુ પ્રમાણ અડધા ઈંચછી ઓછુ રહ્યુ હતુ ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમરેલી, રાજકોટમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે એટલે કે આજે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છમાં જ્યારે રવિવારે ડાંગ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી 3 દિવસ રાજ્યમાં માવઠાની અસર જોવા મળી શકે છે. જો કે માવઠાને પગલે રાજ્યમાં અનેક સ્થળોએ હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાને પગલે મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી ઘટીને 23.4 ડિગ્રી થઈ ગયુ હતુ જ્યારે રાતે લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી થઈ ગયુ હતુ. હજુ ઠંડી જોર વધીને તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન તાપમાન 3.5 ડિગ્રી સુધી ગગડતા કડકડતી ઠંડી અનુભવાશે.












Click it and Unblock the Notifications
