વટવા, વાપી અને અંકલેશ્વર જીઆઇડીસીને ક્રિટિકલી પોલ્ટુટેડ ઝોનમાંથી દૂર કરાશે
વાપી, 5 જુલાઇ : ગુજરાતની ત્રણ જીઆઇડીસી અવારનવાર તેના પ્રદૂષણને કારણે ચર્ચામાં આવતી રહે છે. આ ત્રણ જીઆઇડીસી અમદાવાદની વટવા જીઆઇડીસી, વાપી જીઆઇડીસી અને અંકલેશ્વર જીઆઇડીસી છે. જો કે આ જીઆઇડીસીમાં પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવાતા ટૂંક સમયમાં તે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ક્રિટિકલી પોલ્યુટેડ ઝોન (ગંભીર પ્રદૂષણ વિસ્તાર)ની યાદીમાંથી બહાર થઇ શકે છે.
આ માહિતી ગુજરાતના રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ વાપીમાં યોજાયેલા એક કાર્યક્રમ 'વાપી બનશે વૃંદાવન'ની સમીક્ષા સમારોહમાં સંબોધતા આપી હતી. વસાવાએ આ પ્રસંગે જણાવ્યું કે ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર વાપીને ક્રિટિકલી પોલ્યુટેડ ઝોનમાંથી દૂર કરશે.
નોંધનીય છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ગુજરાતના વટવા, અંકલેશ્વર અને વાપીને ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાં મુક્યા હતા. જેમાં વાપીને ફરીથી ખોટી રીતે આ કેટેગરીમાં મુક્યું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. કેન્દ્રમાં નવી સરકાર આવ્યા બાદ વાપીમાં પ્રદૂષણની ફેર ચકાસણી કરવામાં આવી હતી.
તેમણે આ સમારોહમાં જણાવ્યું કે વાપીને વર્ષ 2013માં ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાં મૂકવામાં આવ્યું હતું. જેને પગલે વાપીના ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં વાપીએ પર્યાવરણ શુદ્ધીકરણમાં સારું કાર્ય કર્યું છે. વાપીના કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સોલિડ વેસ્ટ પ્લાન્ટમાં પણ સમયાંતરે સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાને લઇ વાપીમાં પ્રદૂષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટયું છે.
વાપીમાં આરંભાયેલા એક મહિનાની સ્વચ્છતા ઝુંબેશના સમીક્ષા સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે તેમણે અગાઉ સરકાર સમક્ષ વાપી, વટવા અને અકંલેશ્વરને આ ઝોનમાંથી દૂર કરવા રજૂઆત કરી હતી. જેના ફળસ્વરૂપે કેન્દ્ર સરકારે વાપીમાં પ્રદૂષણ મુક્તિ માટેના પ્રયાસોને જોતા તેને ક્રિટિકલી પ્રદૂષણ મુક્ત ઝોનમાંથી દૂર કર્યાની ઔપચારિક માહિતી મળી છે.
આગામી દિવસોમાં આ અંગે અધિકૃત જાહેરાત કરાશે. મહત્વનું છે કે વાપી અગાઉ બે વાર ક્રિટિકલી પોલ્યૂટેડ ઝોનમાં મૂકાઈ ચૂક્યું છે.