ભાજપ રચશે નવી સરકાર, CM રૂપાણીએ આપ્યું રાજીનામું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયપાલ ઓ.પી.કોહલીને વિધીવત રાજીનામું આપ્યું. આવનારા દિવસમાં ભાજપ ગુજરાતમાં બનાવશે તેની નવી સરકાર. વધુ વાંચો અહીં.
ભાજપ સૌથી વધુ 99 બેઠકો સાથે વિજેતા પક્ષ છે અને તે ગુજરાતમાં સરકાર રચશે. તેના માટે આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયપાલ ઓ.પી.કોહલીને વિધીવત રાજીનામું અપર્ણ કર્યું હતું. તેમજ ઓ.પી. કહોલીએ ગત સાંજે ગાંધીનગર ખાતે 13મી વિધાનસભા ભંગ કર્યાની સત્તાવાર જાહેરાત પણ કરી હતી.ગુજરાતની 14મી વિધાનસભાનું ગઠન થવાની તૈયારી છે. સરકારના ચૂંટાયેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને હવે કાર્યકારી અધ્યક્ષ ચૂંટાયેલા સભ્યોને ધારાસભ્યના શપથ લેવડાવશે. નવી સરકારના ગઠન માટે રાજ્યપાલને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવશે. ભાજપ સૌથી મોટો પક્ષ હોવાથી રાજ્યપાલ ઓ.પી.કોહલી ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે.
દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના સભ્યોનું રાજીનામું રાજ્યપાલને સુપરત કરી દેવામાં આવ્યું છે. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ શપથવિધી મહાત્માં મંદિર અથવા તો અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થશે.ઉલ્લેખનીય છે કે આ સ્ટેડિયમની મુલાકાત શહેર કમિશ્નર એ.કેસિંઘે બે દિવસ અગાઉ લીધી હતી ને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રૂપાણીએ રાજીનામુ આપતા જ સીએમ પદ માટે તેમજ કેબિનેટ મંત્રીઓના નામ માટે વિવિધ નેતાઓના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમાં મુખ્યમંત્રી પદ માટે મનસુખ વસાવા, નીતિન પટેલ, રમણલાલ વોરા, સ્મૃતિ ઇરાનીના નામ સંભળાઈ રહ્યા છે.