રસોઇ માટે મળતું કેરોસીન પણ સરકારે કર્યુ બંધ, ગેસ જોડાણ કર્યુ ફરજિયાત
ગુજરાતમાં મુખ્ય આઠ મહાનગરોમાં વસતા તમામ એપીએલ રાશન કાર્ડધારકોને આગામી ૩૧મી ઓગષ્ટથી કેરોસીનનો જથ્થો આપવાનું બંધ કરવામાં આવશે.
ગુજરાતમાં મુખ્ય આઠ મહાનગરોમાં વસતા તમામ એપીએલ રાશન કાર્ડધારકોને આગામી ૩૧મી ઓગષ્ટથી કેરોસીનનો જથ્થો આપવાનું બંધ કરવામાં આવશે. રાજ્ય પુરવઠા વિભાગે રાજ્યમાં રસોડામાં કેરોસીનનો વપરાશ બંધ કરવા આ નિર્ણય કર્યો છે. ત્યાર બાદ, આ પછી બીજા તબક્કામાં રાજ્યના તમામ જીલ્લામાં પણ ૧ ડિસેમ્બર ૨૦૧૮ પછી એપીએલ કાર્ડધારકોને કેરોસીન મળશે નહી.
શહેરોમાં ગરીબ પરીવારોને પડશે હાલાકી
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી બીપીએલ યાદી માટે કોઈ નવો સર્વે કર્યો નથી. ત્યારે ખાસ કરીને શહેરી વિસ્તારમાં બીપીએલ અને એએવાય કાર્ડધારકોની સરખામણીમાં એપીએલ કાર્ડધારકોની સંખ્યા ઘણી જ વધારે છે. જેના કારણે ગેસ જોડાણ નહિ ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લાખો કાર્ડધારકોને હવે કેરોસીન વિના ગેસ જોડાણ મેળવવા ભારે દોડધામ કરી કાળાબજારનો ભોગ પણ બનવું પડશે. ઉપરાંત ગેસ સબસીડી ગુમાવવાનો કે તેના માટેના નાણાંની પણ વ્યવસ્થા કરવી ઘણા પરીવારો માટે મુશ્કેલ બનશે.
કેરોસીનનો વપરાશ બંધ કરવાનો મુખ્ય હેતુ
પાઈપ લાઈન અથવા ગેસ સિલિન્ડર મારફતે રાંધણ ગેસ આપવા અને સાથે સાથે કેરોસીનનો ઉપયોગ સદંતર વપરાશ કરવાના હેતુથી એપીએલ રાશન કાર્ડ ધારકોને કેરોસીન આપવાનું બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
બે તબક્કામાં કરાશે અમલ
રાજ્યભરમાં કુલ બે તબક્કામાં કેરોસીન વેચાણ પર પ્રતિબંધનો અમલ કરવામાં આવશે. તે અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રાજ્યની આઠ મહાનગર પાલિકાઓમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં એપીએલ રાશન કાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરમાં એપીએલ કાર્ડધારકોને કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે. આથી આ આઠ મહાનગરોમાં જે ગેસ કનેક્શન ધરાવતા નથી તે તમામ એપીએલ કાર્ડધારકોએ ૩૧મી મે, ૨૦૧૮ સુધીમાં ગેસ જોડાણ મેળવી લેવાનું રહેશે. આ કાર્ડધારકોને અત્યારે ૩૧મી ઓગસ્ટ, ૨૦૧૮ સુધી જ કેરોસીન મળી શકશે. ત્યાર પછી તેમને કેરોસીન મળશે નહિ. જયારે આ પછી બીજા તબક્કામાં રાજ્યના ૩૩ જીલ્લા મથકોમાં તેનો અમલ કરી તમામ એપીએલ રાશન કાર્ડ ધારકોને કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે. એટલે કે, બે તબક્કામાં રાજ્ય પૂરવઠા વિભાગ દ્વારા કેરોસીનનો વપરાશ બંધ કરવા પર અમલ કરવામાં આવશે.
તમામ જિલ્લા મથકો પણ આવરી લેવાયા
ત્યાર બાદ, બીજા તબક્કામાં આગામી ૧લી ડિસેમ્બર,૨૦૧૮ પછી જીલ્લા મથકોના સસ્તા અનાજની દુકાનોમાંથી તમામ એપીએલ રાશન કાર્ડધારકોને કેરોસીન મળશે નહી. આ અંગે રાજ્ય સરકારે ગેસ જોડાણ નહીં ધરાવતા તમામ એપીએલ રાશન કાર્ડધારકોને નોટીસ આપી ગેસ કનેક્શન મેળવી લેવા જિલ્લા પૂરવઠા અધિકારીઓને આદેશ કર્યા છે. જેના પરિણામે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં તમામ એપીએલ રાશન કાર્ડધારકોને સરકાર તરફથી કેરોસીન મળતું બંધ થઇ જશે. પરિણામે શહેરોમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગના મોટાભાગના એપીએલ કાર્ડધારકો પાસે પાઈપ લાઈનથી ગેસ પહોચ્યો નથી. તો તેમને ગામડાઓમાં મળતો ઉજ્જ્વલા યોજના જેવો લાભ મળતો નહિ હોવાથી નવા ગેસ જોડાણ મેળવવા ભારે દોડધામ કરવી પડશે. જેના કારણે ગેસ સિલીન્ડરની માંગ વધી જતા તેના કાળાબજાર પણ થશે તેમજ ઉંચા ભાવે અને ભૂતિયા ગેસ કનેક્શન મેળવવાની ફરજ પણ પડી શકે છે.
રાજ્યને કેરોસીન ફ્રી સ્ટેટ બનાવવા પ્રયાસ
રાજ્યને કેરોસીન ફ્રી સ્ટેટ બનાવવાની દિશામાં કદમ ઉઠાવીને રાજ્ય સરકારે પૂરવઠા વિભાગ દ્વારા ઉતાવળે એપીએલ રાશનકાર્ડ ધારકોને મળતા કેરોસીનનો જથ્થો બંધ કરવા અને ગેસ ક્નેક્શન ઝડપી લેવા અંગે જે નિર્ણય કર્યો છે. તેના કારણે, ગરીબ અને મધ્યમ પરીવારોને મુશ્કેલી પણ ભોગવવી પડી શકે છે. પરંતું, રાજ્યમાં તમામ પરીવારો સુધી ગેસ ક્નેક્શન પહોચાડવામાં રાજ્ય સરકાર સફળ પણ થઈ શકે છે. તો, વધુ પ્રદૂષણની માત્રા ધરાવતાં કેરોસીનમાંથી ગૃહિણીઓને છુટકારો મળી જશે. આવતાં વર્ષથી રસોડામાં કેરોસીન ભૂતકાળ બની જશે.