હાર્દિકના ઉપવાસઃ ગુજરાત સરકારનું અંડરપ્રેશર સાથે ઉપેક્ષાત્મક વલણ ?
હાર્દિક પટેલના ઉપવાસ હવે રાજ્ય સરકાર માટે મુસિબત બની રહ્યા છે
ગુજરાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલના અનિશ્ચિતકાલિન ઉપવાસને 19 દિવસ થયા છે. વચ્ચે બે વખત જળનો પણ ત્યાગ કરનાર હાર્દિક પટેલના ઉપવાસ હવે રાજ્ય સરકાર માટે મુસિબત બની રહ્યા છે. હાર્દિક પટેલને જે રીતે રીતે રાષ્ટ્રવ્યાપી સમર્થન મળી રહ્યુ છે તેને કારણે રાજ્ય સરકાર અને ખાસ કરીને ભાજપ ભિંસમાં મુકાઇ રહ્યો છે.
ઉપવાસ આંદોલન માટે મંજૂરી ન આપવી સરકારની ભુલ ?
રાજ્ય સરકારે 25 ઓગસ્ટથી શરૂ કરેલા ઉપવાસ આંદોલન દરમિયાન શરૂઆતમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડને મંજૂરી ન આપી ત્યારબાદ રાજ્યના વડા મથક ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી મેદાનમાં પણ હાર્દિક પટેલને ઉપવાસ પર બેસવા મંજૂરી ન આપી ત્યારે, નિવાસ સ્થાનથી હાર્દિક પટેલને ઉપવાસ કરવાની ફરજ પડી અને હાર્દિકને સમર્થન વધતું ગયું. રાજ્ય સરકાર પ્રથમથી હાર્દિક પટેલના મુદ્દે આક્રમક વલણ અપનાવવાના કારણે સતત ભિંસમાં મુકાઇ રહી છે.
રાજ્ય સરકાર હાઇકમાન્ડના ઇસારે કરી રહી છે કામ ?
હવે, હાર્દિક પટેલના ઉપવાસના કારણે ગુજરાત સરકારની નાલેશી વધી રહી છે. પરંતું, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંડળના સભ્યોમાં જે ગંભીરતા હોવી જોઇએ તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ભાજપના હાઇકમાન્ડના ઇસારે હોય કે બેપરવાહી વર્તાતી હોય, પરંતું, હાર્દિક પટેલના ઉપવાસને અને તેની માંગણીની ઉપેક્ષા રાજ્ય સરકાર કરી રહી છે. સરકારનું આ ઉપેક્ષાત્મક વલણ ભાજપ માટે પણ મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. જેના કારણે, સોશિઅલ મીડિયાથી માંડી સામાન્ય મતદાતા સુધીમાં ભાજપ પ્રત્યે ઘેરા પ્રત્યાઘાત અને હાર્દિકના સમર્થનમાં સહાનુભૂતિની હવા પણ ફેલાઇ રહી છે.
વિપક્ષો હાર્દિક પટેલ થકી રાજકીય જમીનની તલાશમાં
લોકસભાની ચૂંટણી હવે નજીક છે. વિપક્ષી દળો પાસે ભાજપના નરેન્દ્ર મોદીનો સામનો કરવા મજબુત ચહેરાનો અભાવ છે ત્યારે, હાર્દિક પટેલનું રાષ્ટ્રીયકક્ષાએ વધતું કદમ ભાજપને ચિંતા વધારી રહ્યુ છે. ત્યારે, વિપક્ષી દળો હાર્દિક પટેલ થકી રાજકીય જમીન તલાસી રહ્યા છે. જોકે, હાર્દિક પટેલ અત્યારે, ભાજપ સરકારની ખુલ્લી આલોચના અને નીતિઓનો વિરોધ કરી રહ્યો હોવા છતાં, આગામી સમયમાં વિપક્ષી દળોને કેટલો ફાયદાકારક અને ભાજપને કેટલું નુકસાન વધારે છે તે સમય બતાવશે.
હાર્દિકના ઉપવાસને રાજકીય સ્ટંટમાં ખપાવવાનો ભાજપનો પ્રયાસ
પરંતું, હાર્દિક પટેલના ઉપવાસને ઓગણીસ દિવસ થયા છતાં, સરકાર કોઇ રાજકીય કૂનેહ વાપરીને પણ આ ઉપવાસનો અંત લાવવા કે તેની માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવવાના બદલે હાર્દિકના ઉપવાસને સ્ટંટમાં ખપાવી વ્યાજબી માંગણીઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકારના ત્રણ સિનિયર પ્રધાનોની બેઠક હાર્દિક પટેલના ઉપવાસ સંદર્ભે મળી હતી. પરંતું, તેમાં યોગ્ય નિરાકરણ કે તોડ આવી શક્યો નહોતો. પાટીદાર નેતા નરેશ પટેલ પણ મધ્યસ્થી માટે પ્રયાસ કરી ચુક્યા છે, જેમાં, યોગ્ય નિચોડ આવી શક્યો નથી. એટલે કે, સરકારનો રવૈયો હાલમાં હાર્દિક મામલે અડગ હોવાનું દેખાઇ રહ્યુ છે.
નીતિન પટેલ કરાયા કટ ટુ સાઇઝ
ગુજરાત સરકાર તરફથી હાર્દિક પટેલ કે પાટીદાર આંદોલનની કમાન નિતિન પટેલ સંભાળતા હતા. પરંતું, આ વખતે હાર્દિક પટેલ વિરુદ્ધ મોરચો ભાજપ તરફથી સૌરભ પટેલ અને કૌશિક પટેલ સંભાળી રહ્યા છે. નીતિન પટેલ હાર્દિક પટેલના ઉપવાસ બાબતમાં સંપુર્ણ અંતર રાખતા હોય તેમ લાગી રહ્યા છે. જે, ભાજપમાં નીતિન પટેલના કટ ટુ સાઈઝના ક્યાંકને ક્યાંક સ્પષ્ટ અણસાર બતાવે છે.
સરકારનું ઉપેક્ષાત્મક કે અંડરપ્રેશર વલણ ?
આજે કેબિનેટની બેઠકમાં ચોક્કસ હાર્દિક પટેલના આંદોલન મુદ્દે ચર્ચા થઇ શકે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષાની સાથે સાથે આ ઉપવાસનો અંત તેમજ પાટીદાર અનામતની માંગ અને ખેડૂતોના દેવા અંગે કોઇ નિવેડો લાવવા ચર્ચા થઇ શકે છે. પરંતું, હવે ભિંસમાં હોવાનો અને ભાજપ હાર્દિક પટેલના ઉપવાસને રાજકીય સ્ટંટમાં ખપાવી મુખ્ય માંગણીઓ પર ઉપેક્ષા કરી રહી છે. ત્યારે, સરકાર ખરેખર પહેલ કરી રાજકીય મુત્સદ્દી વાપરી ઉકેલ લાવે તે રાજ્ય સરકાર અને જનતાના હીતમાં છે. પરંતુ, હાલ સરકાર ક્યાંક બહારથી ઉપેક્ષાત્મક વલણ અને અંદરખાને અંડરપ્રેસર વર્તતી હોય તેમ લાગી રહ્યુ છે. જેના કારણે, પાટીદાર સંસ્થાના આગેવાનોની અને નેતાઓની મધ્યસ્થી પણ નિષ્ફળ લાગી રહી છે.