હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ શરૂ, પોલિસની ક્લોઝ વોચ
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ આજે 25 ઓગસ્ટે બપોરે 3 વાગ્યાથી ભાડાના ફાર્મ હાઉસમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ આજે 25 ઓગસ્ટે બપોરે 3 વાગ્યાથી ભાડાના ફાર્મ હાઉસમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં કોંગ્રેસના જૂજ ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ હાર્દિકના નિવાસસ્થાને તેના સમર્થન આપવા પહોંચી ગયા છે. વળી, આશરે 100 જેટલા પાટીદારો હાજર છે. રાજયમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલિસ તંત્રને એલર્ટ કરી દેવાયુ છે. અમુક જિલ્લાઓમાં 144 ની કલમ લાગુ કરવામાં આવી છે. ઉપવાસમાં જોડાવા જઈ રહેલા દિનેશ બાંભણિયાની અટકાયત કરવામાં આવી છે.
જ્યારે અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલિસ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપવાસમાં જોડાવા માટે ગુજરાતના અલગ અલગ સ્થળોએથી અમદાવાદ પહોંચી રહેલા પાસના આગેવાનો અને પાટીદારોની ધરપકડ કરવાનું પોલિસે શરૂ કરી દીધુ છે. મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ અને સુરતમાંથી વિવિધ પાસ કન્વીરોની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચોઃમંજૂરી ન મળતાં હવે હાર્દિક ઘરે જ ભૂખ હડતાળ પર ઉતરશે!
ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસસ્થાને પાટીદાર સમર્થકોની ચકાસણી કર્યા બાદ તેમનું નામ નોંધીને પોલિસ તેમને અંદર પ્રવેશ આપે છે. આ ઉપવાસ સાથે હાર્દિકે આજથી 6 સપ્ટેમ્બર સુધીના કાર્યક્રમો પણ જાહેર કર્યા છે. જેમાં તેના સમથર્નમાં કયા વિસ્તારના પાટીદારો હાજર રહેશે તે જણાવાયુ છે.
વળી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણાના ખેડૂતો તેમજ સવર્ણો 28 ઓગસ્ટે હાજર રહેશે તેમ પણ જણાવાયુ છે. વળી, સમગ્ર પાટીદાર સમાજને ઉપવાસમાં જોડાવા માટે આહવાન કર્યુ છે.