રાજકોટમાં જોવા મળશે ક્રિકેટ, પટેલ અનામત આંદોલન અને રાજકારણનો રંગ!
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી વન ડે રમાવાની છે. ક્રિકેટના મેદાનમાં આજે ધોની સેના અને સાઉથ આફ્રિકા વચ્ચે ક્રિકેટમાં જીત હાંસલ કરવાની જંગ જામશે. તો ક્રિકેટ મેચ વખતે પાટીદારો પણ પ્રદર્શન કરવાના મુડમાં છે. સમાચારો મુજબ જે પાટીદારોને ક્રિકેટ જોવા માટેની ટિકીટ મળી છે. તેઓ લખાણ વિનાની સફેદ ટી-શર્ટ અને ટોપી પહેરશે. આ સિવાય કેટલાક પાટીદારો ખંઢેરી સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં ‘જય સરદાર' લખેલી સફેદ પતંગ ચગાવીને આકાશને પણ પટેલ અનામત આંદોલનના રંગમાં રંગશે. તો આ પહેલા પટેલોને વધુમાં વધુ ટિકીટ ખરીદવાનું આહવાન પણ કરવામાં આવ્યું હતુ.
તો ચીમકી ઉચ્ચારવામાં આવી છેકે જો પાટીદારોને સ્ટેડિયમમાં પ્રવેશ નહીં આપવામાં આવે તો મોટી સંખ્યામાં પાટીદારો સ્ટેડિયમને ઘેરશે. અને જે પણ સ્થિતિનું નિર્માણ થશે તેના માટે સરકાર જવાબદાર રહેશે. સરદાર પટેલ સેવાદળના મુખિયા લાલજી પટેલ મેચ જોવા નથી આવવાના, પરંતુ હાર્દિક પટેલ, અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સૌરાષ્ટ્રના કન્વિનર મેચ જોવા જશે. તો રાજ્યના સીએમ આનંદીબહેન પટેલ પણ ક્રિકેટ મેચ જોવા માટે ગ્રાઉન્ડ પર જશે તેવા સમાચાર છે. પરંતુ આ વાત અંગે હજી પણ સસપેન્સ બનાવીને રાખવામાં આવ્યું છે.
વેલ, એટલે ટૂંકમાં એવુ કહી શકાય કે રાજકોટનું ક્રિકેટ મેદાન આજે અનેક રંગોમાં રંગાયેલુ જોવા મળશે. જ્યાં ગુજરાતમાં એકમાત્ર મેચ ફાળવવામાં આવી હોવાથી ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ છે, ત્યાં હાર્દિક પટેલ અને અનામત આંદોલનને લઇને સરકાર માટે અગ્નિ પરીક્ષા જેવો સમય છે. મેદાન પર ક્રિકેટની જંગ, પાટીદાર અનામત આંદોલન અને તંત્રની અગ્નિ પરીક્ષા જેવા દ્રશ્યો જોવા મળશે. તો આ તમામની વચ્ચે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ધોની સેના અને સાઉથ આફ્રિકાની ટીમ
ત્રીજી વનડે માટે ટીમ ઇન્ડીયા અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં બંને ટીમ જીત હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવશે. ભારત મેચ જીતીને લીડનો પ્રયત્ન કરશે. તો ટીમ માટે વિરાટ કોહલી અને સુરેશ રૈનાનું ફોર્મ ચિંતાનો વિષય છે. જ્યારે દક્ષિણ આફ્રિકા પણ મેચ જીતીને લીડ મેળવાની કોશિષ કરશે. ખંઢેરી સ્ટેડિયમમાં 300થી વધુ સ્કોર થઇ શકે છે. મહત્વપૂર્ણ છેકે હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સીરીઝમાં 1-1થી બરાબરી પર છે.
ટોસ જીતીને મહત્વનો નિર્ણય
ત્રીજી વન ડેમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. મહત્વપૂર્ણ છેકે અગાઉની બંને મેચમાં ટોસ જીતનાર ટીમનો જ વિજય થયો હતો. ધોનીએ ઇન્દોરમાં રમાયેલી મેચમાં પહેલી વખત ડાબા હાથે ટોસ કર્યો હતો અને આ પ્રયાસ સફળ થયો.
પટેલ અનામત આંદોલન
છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં પટેલ અનામત આંદોલનની આગ ગુજરાતની શાંતિને ડહોળી રહી છે. ત્યારે આજે ક્રિકેટના ગ્રાઉન્ડ પર પણ પટેલ અનામત આંદોલનની હવા જોવા મળશે.
હાર્દિક પટેલ
સમાચાર મળી રહ્યાં છેકે આજે રાજકોટમાં ક્રિકેટ જોવા માટે પટેલ અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ મેચ જોવા માટે જવાના છે, અને તેમની સાથે સૌરાષ્ટ્રના તમામ કન્વીનર પણ મેચ જોવા માટે જવાના છે.
શાંતિપૂર્વક પ્રદર્શન
હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે અમે શાંતિ ડહોળવા નથી માંગતા, પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રહીને શાંતિપૂર્વક વિરોધ કરવા માંગીએ છીએ. મેચમાં શાંતિપૂર્વક વિરોધ કરવા માટે અમને સહયોગ આપો.
ટિકીટનું વેચાણ
ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ દરમ્યાન પાટીદારોના ભવ્ય પ્રદર્શન માટે પટેલ અનામત આંદોલનના કાર્યકર્તાઓ દ્વારા પાટીદારોને મોટી સંખ્યામાં ટિકિટ ખરીદવા માટે આહવાન કરાયુ હતુ.
ક્રિકેટ સ્ટેડિયમ ફેરવાયુ પોલીસ છાવણીમાં
કોઇ અનિચ્છનીય ઘટના ના બને તેને લઇને ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોલીસનો સઘન બંદોબ્સત ખડકી દેવામાં આવ્યો છે.
પોલીસની રણનીતી
તો આ તમામ પરિસ્થિતીઓને લઇને શુક્રવારે રાજકોટ જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં તમામ ડીવાયએસપી સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર કે ગ્રાઉન્ડની બહાર કોઇ પણ શાંતિની પરિસ્થિતીને ડહોળવાની કોશિષ કરે તો શું કાર્યવાહી કરવી તે અંગે રણીનીતી ઘઢી કાઢવામાં આવી છે.
ખેલાડીઓને રોકવાની ચિમકી
જો પોલીસ કે પ્રશાસન દ્વારા પટેલોને ગ્રાઉન્ડમાં જતા રોકવાની કોશિષ કરવામાં આવશે તો ખેલાડીઓની બસને રોકવાની રણનીતિ પટેલ અનામત આંદોલનના કાર્યકર્તાઓએ ઘઢી કાઢી છે.
ટીમ માટે અલગથી બંદોબસ્ત
આ ચિમકીને લઇને ટીમને હોટેલથી સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે SRPની વધારીની બે કંપનીનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તો સાથે જ હોટેલથી લઇને ગ્રાઉન્ડ સુધી પહોંચવાના રસ્તા પર પણ વિશેષ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
નેટ બંધ
જ્યાં એક તરફ પાટીદારોએ મેચ દરમિયાન વિરોધ વ્યક્ત કરવાની ગાંઠ બાંધી છે તો તંત્ર દ્વારા કોઇ અનીચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પગલા ભરવામાં આવ્યા છે. જેને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટરે શહેર અને જિલ્લામાં શનિવારે રાત્રે 10 વાગ્યાથી લઇને સોમવારે સવારે 6 વાગ્યા સુધી મોબાઈલ નેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
હાર્દિક પટેલ અને તેના કાર્યકર્તાઓ જવાબદાર
આ તમામ પરિસ્થિતીઓ વચ્ચે રાજકોટ જિલ્લા પોલીસ વડા એસપી ગગનદીપ ગંભીરે જણાવ્યુ હતુ કે જો મેચના ગ્રાઉન્ડ પર કોઇ પણ અનિચ્છનીય ઘટના બની તો તેની જવાબદારી હાર્દિક પટેલ અને તેના કાર્યકર્તાઓની રહેશે. કાયદો કાયદાનું કામ સમાનતાના ધોરણે કરશે.
નિરજંન શાહની વિનંતી
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે મેચને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે નિરંજન શાહે "હાર્દિકને એક નહીં પણ બે વાર ગ્રાઉન્ડ પર ના આવવા વિનંતી કરી છે." તેમણે વધુમાં જણાવ્યું હતુ કે "આ ક્રિકેટનું મેદાન છે તેને રાજકીય અખાડો ન બનાવો.
આનંદીબહેન પટેલ રાજકોટ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રહી શકે છે હાજર
આધારભૂત સુત્રોનું માનીએ તો આ મેચમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજરી આપી શકે છે. પરંતુ તે ઉપસ્થિત રહેશે કે નહીં તે અંગે હજી સુધી સસ્પેન્સ બનાવીને રાખવામાં આવ્યું છે.