પોલીસે મારા ઘરની બહાર વાઘા બોર્ડર જેવો માહોલ બનાવી દીધોઃ હાર્દિક પટેલ
હોસ્પિટલેથી રજા મળતાની સાથે જ હાર્દિક ફરી ઉપવાસ પર બેસશે.
25 ઓગસ્ટથી અનસન પર બેઠેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની શુક્રવારે તબિયત લથડતાં સોલા સિવિલે ખસેડવામાં આવ્યો હતો. હાર્દિક પટેલના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હોસ્પિટલેથી રજા મળતાની સાથે જ હાર્દિક ફરી ઉપવાસ પર બેસશે. હવે ગ્રીનવુડ રિસોર્ટમાં ઉપવાસ પર બેસવાનો હોવાથી અહીં સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સદભાવના યાત્રા
હાર્દિક પટેલના સમર્થનમાં માત્ર ગુજરાતના જ નહીં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના લોકો અને કોંગ્રેસ તથા તેના સાથી પક્ષોના નેતાઓ પણ આવ્યા હતા. જો કે રવિવારે પાટણથી ઉંઝા સુધીની 35 કિમીની સદભાવના યાત્રા યોજી છે.
હાર્દિકની અપીલ
આજે સોલા સિવિલમાંથી હાર્દિક પટેલે ફેસબુક લાઈવ કરી ઉપવાસ પર બેઠેલા તમામ યુવાનોને પારણાં કરી લેવા અપીલ કરી હતી. હાર્દિકે કહ્યું કે, "25મી ઓગસ્ટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું ત્યારથી અલગ-અલગ ગામડે અને તાલુકામાં યુવાનો ઉપવાસ પર બેઠા છે, તેમને પારણાં કરી આંદોલનમાં સાથે રહેવા વિનંતી કરું છું." વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે હોસ્પિટલે જરૂરી હતી તે સારવાર કરાવી છે પણ અન્નનો એકપણ દાણો મોંમાં નાખ્યો નથી. શાંતિપૂર્ણ રીતે આગળ પણ સહકાર આપવા માટે હાર્દિક પટેલે ભલામણ કરી છે.
|
હોસ્પિટલે મળવા આવ્યા દિગ્ગજ નેતાઓ
હાર્દિક પટેલને હોસ્પિટલે ખસેડવામાં આવતા વરિષ્ઠ નેતા શરદ યાદવ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી એ. રાજા હાર્દિકને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા. શરદ યાદવે કહ્યું કે હાર્દિકે પાણી અને ખોરાક લેવાનું શરૂ કરી દેવું જોઈએ. બીજી બાજુ પાટીદાર સમિતિના પ્રવક્તા મનોજ પનારાએ કહ્યું કે માગણીઓ માનવામાં ન આવે ત્યાં સુધી હાર્દિકનો ઉપવાસ આંદોલન શરૂ જ રહેશે.
હાર્દિક પટેલની માગણી
જણાવી દઈએ કે ખેડૂતોના દેવાં માફી, પાટીદારોને અનામત અને જેલમાં બંધ પાસના કો-કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલ મૂક્તિની માગણી સાથે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. દેશદ્રોહના કેસમાં અલ્પેશ કથીરિયા જેલમાં બંધ છે. હાર્દિક પટેલે આરોપ લગાવતા કહ્યું કે 15 દિવસથી આંદોલન શરૂ છે છતાં સરકાર હજુ વાતચીત કરવા આવી નથી. જો કે સૌરભ પટેલે અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનું આરોપ લગાવ્યો હતો અને હાર્દિક પટેલને યોગ્ય સારવાર કરાવી ઉપવાસ સમેટવાની સલાહ આપી હતી.
|
સ્વામી અગ્નિવેશજી મળવા આવ્યા
હાર્દિક પટેલના સમર્થનમાં ખુલીને આવી કોંગ્રેસ, 24 કલાકના ઉપવાસ પર બેસવાની ધમકી
|
ઘરની બહાર વાઘા બોર્ડર જેવો માહોલ
હાર્દિક પટેલને હોસ્પિટલેથી રજા મળી ગઈ છે. હાલ તે પોતાના ઘરે પહોંચી ગયો છે, જો કે હાર્દિકના રહેણાંકની બાજુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાર્દિકે પોલીસ પર બધાને રોકતી હોવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું કે ક્યારેય અંગ્રેજ હકુમત ન જોઈ હોય તો મારા ઘરે આવો. મારા ઘરની બહાર વાઘા બોર્ડર જેવો માહોલ બનાવી દીધો છે.