મંજૂરી ન મળતાં હવે હાર્દિક ઘરે જ ભૂખ હડતાળ પર ઉતરશે!
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ 25મી ઓગસ્ટથી નિકોલમાં 13 દિવસના ઉપવાસ પર ઉતરવાનો હતો, જો કે તંત્રએ હાર્દિક પટેલને નિકોલમાં ઉપવાસ કરવાની મંજૂરી ન આપી.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ 25મી ઓગસ્ટથી નિકોલમાં 13 દિવસના ઉપવાસ પર ઉતરવાનો હતો, જો કે તંત્રએ હાર્દિક પટેલને નિકોલમાં ઉપવાસ કરવાની મંજૂરી ન આપી. આખરે હાર્દિકે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા પોતાના ઘરે જ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. જણાવી ધઈએ કે PAASએ ગાંધીનગરના સેક્ટર 6માં પણ ઉપવાસ કરવા માટે મંજૂરી માગી હતી.
હાર્દિકના ઘરે ઉપવાસ કરીશું
ધાર્મિક માલવિયાએ કહ્યું, "કોઈપણ સ્થિતિમાં અમને ગાંધીનગરમાં પણ ઉપવાસ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. ત્યારે અમે ક્યાંય નહીં તો હાર્દિક પટેલના ઘરે ઉપવાસ પર ઉતરશું." ધમકીના સૂરમાં ધાર્મિક માલવિયાએ વધુ કહ્યું કે જો હાર્દિક પટેલના ઘરે પણ ઉપવાસ કરતા અટકાવવામાં આવશે તો તેનું પરિણામ ભોગવવું પડશે.
જેલમાં જઈને ભૂખહડતાળ પર ઉતરીશ
હાર્દિક પટેલે કહ્યું કે, "મને ભરોસો છે કે રામોલ કેસમાં 25 ઓગસ્ટ પહેલાં જ મારી ધરપકડ કરી લેવામાં આવશે. તેમ છતાં હું જેલમાં જઈને ભૂખહડતાળ પર ઉતરીશ. અને મારે જેલ જવાનું થાય તો મારા ઘરે મારા સમર્થકો ભૂખહડતાળ પર ઉતરશે."
|
ભાજપ સરકાર પર આકરા પ્રહારો
દરમિયાન હાર્દિકે ટ્વિટ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે એક ટ્વિટમાં લખ્યું, "આંદોલનને રોકવા અમદાવાદમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી. આશ્ચર્યની વાત છે કે સંવૈધાનિક રીતે કોઈને પણ આંદોલન કરવાનો અધિકાર છે છતાં ગુજરાતમાં ભાજપ સરકાર ભૂખ હડતાળ કરવાથી આંદોલનકારીઓને રોકી રહી છે."
|
આઝાદી ખતમ!
અન્ય એક ટ્વિટમાં હાર્દિકે લખ્યું કે, "આઝાદી ખતમ! ભાજપ સરકારના ઈશારે અમારા આંદોલનકારીઓની ધરપકડ થઈ રહી છે. ભાજપના નેતાઓ આંદોલનકારીઓને મારવાની સતત ધમકીઓ આપી રહ્યા છે. 18-20 વર્ષના યુવાનોને છેલ્લી 24 કલાકથી જેલમાં બંધ કરીને રાખ્યા છે. ભૂખ હડતાળ રોકવા માટે ભાજપ સરકાર અંગ્રેજ બની ગઈ છે."