ગુજરાતથી આવેલા હર્ષ સોલંકીએ જોઈ કેજરીવાલ સરકારની સ્કૂલ અને ક્લિનિક, કહ્યુ - આવી સુવિધાઓની અમને જરુર
કેજરીવાલના આમંત્રણ પર દલિત યુવક હર્ષ સોલંકી પરિવાર સાથે દિલ્લી ગયા. ત્યાં સ્કૂલો અને ક્લિનિક જોઈને શું કહ્યુ જાણો.
નવી દિલ્લીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે બધા પક્ષો પોતાની પુરી તાકાત લગાવી રહ્યા છે. તાજેતરમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી અને એક દલિત વ્યક્તિ હર્ષ સોલંકીને ફેમિલી સાથે ડિનર માટે દિલ્લી આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ. વચન મુજબ સોલંકી સોમવારે તેમના પરિવાર સાથે ફ્લાઇટમાં દિલ્લી પહોંચ્યા જ્યાં તેમનુ ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ. આ પછી તેમણે સીએમ કેજરીવાલ સાથે લંચ કર્યુ.
હર્ષ સોલંકીના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ખુદ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. તેમણે શાલ ઓઢાડીને હર્ષ સોલંકીનુ સ્વાગત કર્યુ. આ દરમિયાન ગુજરાતના આપ નેતા ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા. એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ સોલંકી પંજાબ હાઉસ ગયા, ત્યારપછી આમ આદમી પાર્ટીની ટીમ તેમને દિલ્લીની હાઈટેક સ્કૂલ લઈ ગઈ. આ પછી તેમને મોહલ્લા ક્લિનિક પણ બતાવવામાં આવ્યુ. બંને જગ્યાઓ જોઈને સોલંકી ખૂબ ખુશ દેખાતા હતા. તેમણે કહ્યુ કે ગુજરાતને આવી શાળાઓ અને હૉસ્પિટલોની જરૂર છે.
મીડિયા સાથે વાત કરતા હર્ષે કહ્યુ કે તેણે આટલી બધી સુવિધાઓવાળી સરકારી શાળા પહેલા ક્યારેય જોઈ નથી. ગુજરાતમાં પણ આવું થવુ જોઈએ. બાળકોને સારુ શિક્ષણ મળવુ જોઈએ. મને આમંત્રણ આપવા બદલ હું સીએમ કેજરીવાલનો આભાર માનુ છુ. મને એવુ લાગે છે કે હું સપનુ જોઈ રહ્યો છુ. આપ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે હર્ષ અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર ગુજરાતથી દિલ્લી આવ્યો છે. આજ સુધી નેતાઓ લોકોના ઘરે જઈને મત એકત્ર કરતા હતા પરંતુ પહેલી વાર કોઈ મુખ્યમંત્રીએ દિલથી એક પરિવારને ભોજન સમારંભ માટે આમંત્રણ આપ્યુ છે.
વાલ્મિકી સમાજના છે હર્ષ
તમને જણાવી દઈએ કે હર્ષ અમદાવાદનો રહેવાસી છે. તેઓ વાલ્મિકી સમાજના છે. તાજેતરમાં જ્યારે સીએમ કેજરીવાલ રેલી કરી રહ્યા હતા ત્યારે હર્ષે તેમની સાથે વાત કરી હતી. તે દરમિયાન તેમને દિલ્લી આવવાનું આમંત્રણ મળ્યુ હતુ.