ગીરના જંગલમાં દોડશે હેરિટેજ ટ્રેન
વિસાવદરથી તાલાલા વચ્ચે મીટરગેજ રેલવે લાઈન પર હેરીટેજ ટ્રેન દોડાવવા અને આ વિસ્તારને હેરીટેજ ટુરીઝમ તરીકે વિકસાવવા રેલવે વિભાગે લીલીઝંડી બતાવી દીધી છે
વિસાવદરથી તાલાલા વચ્ચે મીટરગેજ રેલવે લાઈન પર હેરીટેજ ટ્રેન દોડાવવા અને આ વિસ્તારને હેરીટેજ ટુરીઝમ તરીકે વિકસાવવા રેલવે વિભાગે લીલીઝંડી બતાવી દીધી છે, આગામી ટૂંક સમયમાં જ આ મીટરગેજ લાઈન પર મીટરગેજ ટ્રેનમાં બેઠા બેઠા જંગલનો નજારો માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યુ હોવાનું નગરપાલિકા સેલના' પ્રદેશ કન્વીનર પ્રદીપ ખીમાણીએ જણાવ્યુ હતુ.
પ્રદીપ ખીમાણીએ જણાવ્યુ કે 42.27 કિલોમીટર ગેજ રેલવે ટ્રેક ગીરના જંગલમાંથી પસાર થાય છે, આથી આ વિસ્તારમાં ટ્રેનની ગતિ પર પણ નિયંત્રણ રાખવામાં આવે છે.આખા દિવસ દરમિયાન આ ટ્રેક પરથી ત્રણ ટ્રેન પસાર થાય છે, ત્યારે આ ટ્રેક પરથી પસાર થતી ટ્રેનમાં એક સ્પેશ્યલ પારદર્શક એ.સી.કોચ લગાડવામાં આવે તો પ્રવાસીઓને ગાઢ જંગલનો નજારો માણવા મળે છે.ગીરમાંથી પસાર થતી વખતે જંગલના પ્રાણીઓને પણ પ્રવાસીઓ હરતા ફરતા માણી શકે છે, આ ટ્રેનની સાથે ઈકો ટુરીઝમ સફારી પણ વિકસાવવામાં આવશે.
રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ બાબતે નિર્ણય પણ લેવાઈ ગયો છે, આ ટ્રેક પર મીટરગેજને જ વિકસાવવાની યોજના પણ તૈયાર કરવા રેલવેએ ઝોનલ ઓફીસને સૂચના આપી દીધી છે,ચાલુ માસના અંતિમ સપ્તાહ આ અંગેનો અહેવાલ પણ તૈયાર કરીને સોંપવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય રહેશે કે દેશમાં હાલ દાર્જલીંગ, કાંગડા, નીલગીર માઉન્ટ, કાલકા-સીમલા માથેરાન હીલ વિગેરે સ્થળે હેરીટેજ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.તાલાલા -સાસણ રેલવે પણ ભવિષ્યમાં ગીરરેલવે તરીકે પ્રસિધ્ધ થઈ શકે છે.
જોકે આ રેલ્વે લાઇન જંગલમાં ફરતા સિંહો માટે જીવલેણ ન બની રહે તે પણ એક મોટો વિષ્ય છે