રામોલ તોડફોડ કેસમાં સેશન્સ કોર્ટે હાર્દિકને આપી મોટી રાહત
રામોલ તોડફોડ કેસમાં હાર્દિક પટેલને કોર્ટે આપી મોટી રાહત, ગુજરાત સરકારની અરજી ફગાવી.
25મી ઓગસ્ટથી ખેડૂતોના દેવાની માફી અને પાટીદારોને અનામત આપવાની માગણી સાથે હાર્દિક પટેલે અમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આજે ઉપવાસનો ત્રીજો દિવસ છે ત્યારે હાર્દિક પટેલને સેશન્સ કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. જણાવી દઈએ કે તોડફોડ કેસમાં સરકારે કરેલી અરજી પર આજે સેશન્સ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. આ મામલે રાહત મળતાં હાર્દિક હવે પોતાના ઘરે જ અમરણાંત ઉપવાસ ચાલુ રાખશે. આ પણ વાંચો- મારા ઘરને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યુંઃ હાર્દિક
તોડફોડ મામલો
20 માર્ચ 2017ના રોજ હાર્દિક પટેલ અને તેના સાથીઓએ વસ્ત્રાલ કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગ્લોઝ પર હુમલો કર્યો હતો. ટોળાએ પરેશ પટેલના ઘરે તોડફોડ કરી હતી. આ મામલે રામોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી.
હાર્દિકને મળી મોટી રાહત
આ કેસમાં હાર્દિક પટેલને રામોલમાં ન પ્રવેશવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા, જો કે 3 જાન્યુઆરી 2018ના રોજ હાર્દિક રામોલ વિસ્તારમાં રહેતા ગીતાબેન પટેલના ઘરે ગયો હતો, આમ કરીને હાર્દિકે કોર્ટની શરતનો ભંગ કર્યો હતો. જો કે આ કેસમાં હાર્દિકને રાહત મળી ગઈ છે.
કોર્ટે ફગાવી અરજી
આ મામલે સરકારે કોર્ટમાં અરજી કરી હાર્દિક પટેલના જામીન રદ કરવાની માગણી કરી હતી. ત્યારે હાર્દિક પટેલે પણ સામાજિક કારણોસર રામલમાં જવાનું થયું હોવાથી શરતોમાં ફેરફાર કરવા અરજી કરી હતી. કોર્ટે હાર્દિક પટેલને રાહત આપતાં સરકારની જામીન રદ કરવાની માગણી સાથે કરેલી અરજી ફગાવી દીધી છે.
કડક પોલીસ બંદોબસ્ત
આજે હાર્દિકે આશંકા જતાવી હતી કે કદાચ રામોલ કેસમાં તેના જામીન રદ થઈ શકે તો તેવામાં તે જેલમાં જઈને અમરણાંત ઉપવાસ ચાલુ રાખશે. જણાવી દઈએ કે ત્રણ દિવસથી હાર્દિક ઉપવાસ પર બેઠો છે, તૃહમુલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ પણ હાર્દિકને સમર્થન આપ્યું છે. હાર્દિકના અમરણાંત ઉપવાસને લઈને અમદાવાદમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.