ગાંધીનગરમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યુ
ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે ગત 19મી એપ્રિલના રોજ તનુ પંડ્યા (રહે. બોરીજ ગામ) નામની પરિણીતાએ ફરિયાદ નોંધાવી
ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે ગત 19મી એપ્રિલના રોજ તનુ પંડ્યા (રહે. બોરીજ ગામ) નામની પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે 19મીના રોજ રાતના અઢી વાગે તેના પતિ વિપુલ પંડ્યાને પેટમાં પથરીનો દુખાવો થતા સારવાર માટે તેની વર્ના કારમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા પણ ત્યાં બાઇક પર ત્રણ યુવકો આવ્યા હતા અને તેમણે વિપુલને માર માર્યો હતો અને ત્રણ યુવકો પૈકી એક યુવક તનુને બાઇક પર બોરીજ ઘર પર ઉતારીને ચાલ્યો ગયો હતો.
આ અપહરણની થિયરી પર પોલીસને શંકા હતી. અને તપાસમાં લોકલ ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ ગઇ હતી. આ દરમિયાન 22મી એપ્રિલના રોજ પોલીસ કંટ્રોલમાં મેસેજ આવ્યો હતો કે ગુજરાત પોલીસ એકાદમી નર્મદા કેનાલ પાસેની એક કારમાં કોઇ યુવકનો મૃતદેહ છે. જે અંગે તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી કારણ કે આ મૃતદેહ વિપુલનો હતો. બાદમાં જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે આ બાબતને ગંભીરતાથી લઇને એલસીબી પીઆઇ જે ડી પુરોહિત, પીઆઇ તરલ ભટ્ટ અને એસઓજીના પીઆઇ પરેશ સોલંકી સહિતને આ કેસને તાકીદે ઉકેલવા માટે સુચના આપી હતી અને તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે તનુ ઉર્ફે અસ્મા કે જેણે વિપુલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પણ તેના મામાના દિકરા સાથે પ્રેમ સંબધ થતા તેની સાથે લગ્ન કરવાનું નકકી કર્યું હતુ અને વિપુલનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું.
ગત 19મી એપ્રિલના રોજ રાતના બાર વાગે સમીર સરખેજથી તેની બાઇક પર તનુના ધરે આવ્યો હતો અને ઘરમાં સુઇ રહેલા વિપુલને ઉંઘમાં જ ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને લાશને વર્ના કારમાં નાખીને કેનાલ પાસે મુકીને નાસી ગયો હતો. આ તમામ બાબતો તનુએ જણાવતા પોલીસે તેની ધરપકડ કરીને સમીરને પણ સરખેજથી ઝડપી લીધો હતો. આ અંગે પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.