સ્વતંત્રતા દિન:વડોદરામાં CM રૂપાણીએ કરી ઉજવણી, રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.
15 ઓગસ્ટ, 2017, દેશનો 71મો સ્વતંત્રતા દિવસ. આ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મંગળવારે વડોદરાના નવલખી મેદાનમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેદાનમાં ત્રિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી અને લોકોને આઝાદીના 70 વર્ષ પૂર્ણ થયાની શુભકામનાઓ પાઠવી હતી. સાથે હેલિકોપ્ટરમાંથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરવાસીઓ મેદાનમાં હાજર રહ્યાં હતા. તેમનું સંબોધન કરતાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બનાસકાંઠાના પૂર પીડીતો માટે 101 કરોડની સહાય કરવા બદલ હું વડોદરાવાસીઓનો આભાર માનું છું. પૂર પીડીતોની સેવામાં સતત હાજર રહેનાર અને 18 હજાર લોકોના જીવ બચાવનાર સેના અને એનડીઆરએફની ટુકડીઓનો પણ આભાર માનું છું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ બે દિવસ વડોદરાની મુલાકાતે છે. તેમણે સોમવારે અહીં રાજ્યના સૌથી ઊંચા 67 મીટરના રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કર્યું હતું. આ સૌથી ઊંચા રાષ્ટ્ર્ધ્વજને નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનો તથા વિમાનના મુસાફરો પણ જોઇ શકશે. 72 ફૂટની ઊંચાઇ પર લહેરાતા આ ત્રિરંગાને રાત્રે પણ રોશનીથી ઝળહળતો રાખવામાં આવશે.