
માહિતી ખાતાની પરીક્ષામાં ગેરરીતી મુદ્દે મોઢવાળિયાએ કહ્યું- ભ્રષ્ટાચાર અને ભાજપને સગા ભાઈ-બહેન જેવો સંબંધ છે
અર્જૂનભાઈ મોઢવાળિયાએ માહિતી ખાતાની ભરતીમાં થયેલી ગેરરીતી મુદ્દે પત્રકાર પરિષદ યોજી. તેમણે આરોપ લગાવ્યો કે આ નવું ભરતી કૌભાંડ કમલમ પ્રેરિત છે. અર્જૂનભાઈ મોઢવાળિયાએ કહ્યું કે આખા દેશમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની ભરતી કરવાની હોય તો ભારતના અને આપણા રાજ્યોના કાનૂન મુજબ ભારત સરકાર યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરે છે અને રાજ્યો હોય તો રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરવાની હોય છે. અત્યાર સુધી આ પ્રક્રિયા જળવાઈ છે અને કાયદા મૂજબ ક્લાસ 1-2ની ભરતી પબ્લિક સર્વિસ કમિશન મારફતે જ કરાવવામાં આવે છે, બાકીની રીતે કાયદો સુધાર્યા વગર આવી ભરતી કરવામાં આવે તો ભરતી સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠરે છે.
અર્જૂનભાઈએ આગળ જણાવ્યું કે, આ વખતે પહેલીવાર એવું બન્યું કે માહિતી અધિકારીઓ જે ક્લાસ 1, 2 અને 3 ત્રણેયની ભરતી કરવાની હતી, તેમની ભરતીની જવાબદારી પબ્લિક સર્વિસ કમિશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને આપવાના બદલે એમનમ ઠરાવ કરી (આ ઠરાવ સંપૂર્ણપણે કાનૂન વિરોધી છે) એના માટે એક ભરતી સમિતિ રાજ્ય સરકારે બનાવી. આની પાછળનો ઈરાદો મળતિયાઓને કમલમમાંથી જે યાદી આવે તે પ્રમાણે જ ભરતી થી શકે. વર્ગ 1માં 8 અધિકારીઓ અને વર્ગ 2માં 15 અધિકારીઓની ભરતી કરવાની હતી, તેના માટે 1200 જેટલા ઉમેદવારોએ અરજી કરી. રાજ્ય સરકારે પરીક્ષા લેવાને બદલે બહારની ખાનગી એજન્સીને હાયર કરી તેની પાસે પરીક્ષા લેવડાવી.
GPSC પાસે સરકાર ભરતી કેમ નથી કરાવતી
અર્જૂન મોઢવાળિયાએ સવાલ ઉઠાવ્યો કે રાજ્ય સરકાર પાસે પોતાનું પરીક્ષા બોર્ડ છે, પબ્લિક સર્વિસ કમિશનની વ્યવસ્થા છે છતાં તેના મારફતે પરીક્ષા લેવાને બદલે બીજી ખાનગી એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું, અને તેમાં મળતિયા લોકોને એક્ઝામિનર તરીકે મૂકવામાં આવ્યા. અર્જૂનભાઈએ પરીક્ષાના દિવસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તે દિવસે પરીક્ષા કેન્દ્રો કોની-કોની અવર-જવર હતી તેની તપાસ થવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, 1200 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 138 લોકોનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને તેમના પ્રમાણપત્રો ચકાસવામાં આવ્યાં અને તેમાંથી 108 ઉમેદવારોને ઈન્ટર્વ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
ઈન્ટર્વ્યૂ કમિટી બનાવી તે પાંચ સભ્યોની હતી તેમાં 1 અધ્યક્ષ હતા અને 3 નિવૃત્ત કર્મચારીઓ હતા જેઓ એક્સટેન્શન ઉપર છે. તેમણે આરોપ લગાવ્યો કે પેનલમાં બેઠેલા આ કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે પરંતુ રાજ્ય સરકારના આવાં ગેરકાયદેસર કામ કરવા માટે ત્યાં આખી ટોળકી ઉભી કરવામાં આવી છે, આ ઉપરાંત ઈન્ટર્વ્યૂ પેનલમાં બહારના એક નિષ્ણાંતને મૂકવામાં આવ્યા. ચેરમેન આ પ્રક્રિયામાં હાજર ના રહ્યા, નિષ્ણાંત એકાદ-બે દિવસ હાજર રહ્યા બાકી ગેરહાજર રહ્યા, એ સિવાય આખી ટોળકીએ બાકીના ઉમેદવારોનું ઈન્ટર્વ્યૂ લઈ મેરિટ યાદી બનાવી કાઢી.
અનામતની જોગવાઈઓ રફેદફે કરવામાં આવી
વધુમાં તેમણે કહ્યું કે, 33 ટકા અનામત મહિલાઓ માટેની હતી 27.5 ટકા અનામત ઈબીસી માટેની હતી, 14 ટકા અનામત એસસી અને એસટી માટેની હતી અને 10 ટકા અનામત એસઈબીસી માટેની હતી. આ અનામતની જોગવાઈઓને પણ સંપૂર્ણપણે રફેદફે કરવામાં આવી. મરજી મુજબ તેમણે અનામતનો રેશિયો જાળવ્યા વગર મેરિટ લિસ્ટ બનાવી દેવામાં આવ્યું. પેનલમાં હાજર ત્રણ અધિકારીઓ સામે ગંભીર પ્રકારના આરોપો લાગ્યા હોવાનો પણ અર્જૂનભાઈ મોઢવાળિયાએ દાવો કર્યો છે. આગળ તેમણે કહ્યું કે, ઈન્ટર્વ્યૂમાં 100 માર્ક્સ આપવાના હતા, જેમને લેખિતમાં સૌથી વધુ માર્ક્સ હતા તેમને ઈન્ટર્વ્યૂમાં ઘણા ઓછા માર્ક્સ અપાયા. પણ લેખિત પરીક્ષામાં જેના સૌથી ઓછા માર્ક્સ હોય તેવા ઉમેદવારને 70 માર્ક્સ અપાયા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એવી છે કે લેખિતમાં તમને 80 માર્ક્સ આવ્યા હોય તો ઈન્ટર્વ્યૂનું વેઈટેજ માત્ર 20 ટકાનું હોવું જોઈએ. એને બદલે તેનું વેઈટેજ વધારવામાં આવ્યું.
ઉદાહરણ આપતાં અર્જૂનભાઈ મોઢવાળિયાએ કહ્યું કે, ઈન્ટર્વ્યૂના ક્રમ 22ના ઉમેદવારને લેખિતમાં 197 છે અને ઈન્ટર્વ્યૂમાં હાઈએસ્ટ 70 માર્ક્સ આપ્યા છે. જ્યારે 24મા ઉમેદવારને પણ એ પ્રકારે જ માર્ક આપવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના ઉમેદવારોને 20-30 માર્ક્સ જ આપવામાં આવ્યા છે.
ઉમેદવારોની યાદી કમલમ પ્રેરિત છે
અર્જૂનભાઈ મોઢવાળિયાએ આરોપ લગાવતા કહ્યું કે કમલમમાંથી જે લિસ્ટ અપાયું હોય અથવા તો પૈસા લઈને લિસ્ટ અપાયું હોય તે લોકોને અહ્યાં પસંદગી કરવામાં આવી છે. વધુ એક ઉદાહરણ આપતાં કહ્યું કે એક બહેન ડિપાર્ટમેન્ટલ જે પરીક્ષા આપવાની હોય તેમાં બે વખત નપાસ થયાં, જેમનું લેવલ ક્લાસ 3નું છે, તેમને ક્લાસ 1માં બીજા નંબરે પાસ કરી દેવામાં આવ્યાં.
અર્જૂનભાઈ મોઢવાળિયાએ કહ્યું કે, આ સરકારની સિસ્ટમ બની ગઈ છે, એકેય પરીક્ષા એવી નથી જતી જેમાં કૌભાંડ ના થતું હોય, પૈસા ના લેવાયા હોય. આવા કિસ્સાઓમાં નાની માછલીઓને પકડીને જવા દીધા હોય, પણ જે કૌભાંડ કરનારા માસ્ટરમાઈન્ડો છે તેઓ સલામત રહે છે અને તેઓ એક સ્કેમ પૂરું થાય એટલે બીજું સ્કેમ કરવાની તૈયારીઓ કરવા માંડે છે. "મારી માંગણી એવી છે કે આવા માસ્ટરમાઈન્ડોને પકડવામાં આવે." અર્જૂનભાઈ મોઢવાળિયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતીય ભ્રષ્ટાચાર અને ભાજપને સગા બાઈ-બહેન જેવો સંબંધ છે.
તેમણે માંગણી કરી કે માહિતી ખાતાની લેવાયેલી ક્લાસ 1, 2 અને 3 ત્રણેયની પરીક્ષાઓ રદ્દ થવી જોઈએ અને ક્લાસ 1, 2 અને 3ની પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન મારફતે લેવાય અને આના માસ્ટરમાઈન્ડોની ધરપકડ થાય અને ગુજરાતના યુવાનોને આ સોષણ પ્રથામાંથી મુક્તિ મળે તેવી અમારી માંગણી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ચીફ ઑડિટર અને હેડ ક્લાર્કની પરીક્ષાનું પણ પેપર ફૂટ્યું હતું.