નર્મદે સર્વદે : ઉત્તર ગુજરાત માટે આશીર્વાદ બન્યું નર્મદા બંધ
ગાંધીનગર, 20 ઑગસ્ટ : ગુજરાતે જે જળવ્યવસ્થાપન કર્યુ છે તે દેશભરમાં શ્રેષ્ઠ છે. રાજ્યની મહત્વની મોટાભાગની નદીઓના આંતર જોડાણને કારણે સમગ્ર રાજ્યની સિંચાઇ અને પીવાના પાણીની સ્થિતિ ધરમૂળમાંથી બદલાઇ છે. ગુજરાતના દૂરંદેશીભર્યા પ્રયાસોને કારણે જ આજે સરદાર સરોવર બંધના ઓવરફ્લો થતાં પાણી દરિયામાં વહેવાને બદલે જરૂરિયાતવાળા વિસ્તારોમાં અને નદીઓમાં વહે છે.
રાજ્યના સિંચાઇ વિભાગ દ્વારા નર્મદા અને કડાણાના ઓવરફ્લો થતાં વધારાના પાણીને સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેર દ્વારા ઉત્તર ગુજરાતની નદીઓમાં પહોંચાડવાનું અને તળાવો ભરવાનું તથા નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો મારફતે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભૂગભર્જળ રિચાર્જ કરવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેનો અમલ એક મહિના અગાઉ નર્મદા અને કડાણા ડેમ ઓવરફ્લો થતાં જ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કડાણા ડેમ તથા નર્મદા મુખ્ય નહેર આધારિત 9 ઉદ્વહન પાઇપલાઇનો મારફતે ઉત્તર ગુજરાતને હરિયાળું કરનારી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલમાં 1ર00 કયુસેક પાણી વહે છે. હાલ આ પાણી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરની 310 કિ.મી.ની લંબાઇમાં ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ નહેરના એસ્કેપમાંથી ગત માસમાં જ પાટણ નજીક સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ જ રીતે ખોરસમ-સરસ્વતી ઉદ્વહન પાઇપલાઇન દ્વારા પણ સિદ્ધપુર નજીક સરસ્વતી નદીમાં પાણી નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં નર્મદા બંધ અને કડાણાના ઓવરફ્લો થતાં પાણીને પહોંચાડવા જે સઘન આયોજન કરાયું છે તેમાં નર્મદા મુખ્ય નહેર આધારિત નવ ઉદ્દવહન પાઇપલાઇનો સાથે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના કુલ 174 તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેર દ્વારા 36 મળી કુલ ર10 તળાવો જોડવામાં આવ્યાં છે. હાલમાં તળાવોમાં સંગ્રહિત પાણીને ધ્યાને લઇને જે તળાવોમાં પ0 ટકા કે તે કરતાં ઓછું પાણી છે તેવા તળાવોમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો મારફત પાણી ભરવાનું શરૂ કરાયું છે.
પાઇપલાઇનથી જોડાયેલા જે તળાવોમાં પાણી ભરવાની જરૂરિયાત જણાશે ત્યાં તાત્કાલિક પાણી ભરવામાં આવશે. હાલ નર્મદા મુખ્ય નહેરમાંથી હેરણ, કરાડ, કૂણ, સાબરમતી, રૂપેણ અને બનાસ સહિત વિવિધ નદીઓમાં હાલમાં 18,600 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત ધરોઇ ડેમની કુલ 813 મીલીયન ઘનમીટર ક્ષમતા સામે 344 મિલીયન ઘનમીટર પાણીનો સંગ્રહ થયો છે. આ ડેમમાં જરૂરી જત્થો સંગ્રહ થયા બાદ વધારાનું પાણી ઉપલબ્ધ થવાથી ડેમ સાથે જોડાયેલા તળાવો ભરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ, દર વર્ષની જેમ જ ઉત્તર ગુજરાતના સમગ્ર વિસ્તાર માટે તળાવો ભરવા અને ભૂગર્ભ જળના રીચાર્જિંગ માટે આયોજનબદ્ધ પ્રયાસો થઇ રહ્યા છે.
આ સમગ્ર આયોજનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ તેમનું કર્મઠ માર્ગદર્શન પણ મહત્વનું બની રહ્યું છે. નરેન્દ્ર મોદી સામાન્ય રીતે શરુઆતથી નદીઓના જોડાણના પક્ષમાં રહ્યાં છે. અટલ બિહારી બાજપાઈના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે પણ નદીઓના જોડાણનું અભિયાન છેડ્યુ હતું.