શું યુપી-બિહારીઓ પરનો હુમલો પોલિટિકલ સ્ટંટ છે?
શું યુપી-બિહારીઓ પરનો હુમલો પોલિટિકલ સ્ટંટ છે?
અમદાવાદઃ સાબરકાંઠાના ઢુંઢરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મ થયા બાદ સાબરકાંઠા, હિંમતનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પરપ્રાંતિયોને ધમકાવવાના અને મારપીટના મામલાઓ સામે આવી રહ્યા છે. આ મામલે હાલ રાજકારણ ગરમાયું છે. તો બીજી બાજુ પરપ્રાંતિયોમાં પણ ડરનો માહોલ છવાયો છે. તાજેતરના જ આંકડાઓ મુજબ 20 હજાર જેટલા પરપ્રાંતિયો ગુજરાત છોડીને જતા રહ્યા છે. બીજી બાજુ ચૂંટણી નજીક હોય આ પોલિટિકલ સ્ટંટ છે કે શું તે અંગે સવાલ તો ઉભો જ છે.
પરપ્રાંતિયોને રંઝાડવાની ઘટના
જણાવી દઈએ કે પરપ્રાંતિયોને ધમકી આપતો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના પૂર્વ નેતા મહોતજી ઠાકોર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહોતજી ઠાકોર કોંગ્રેસના ચિહ્ન નીચે તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યા હતા. હિંસા, ધાક ધમકી અને હુમલાઓની ઘટનાને પગલે અત્યાર સુધીમાં 56 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 450થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ લોકોને શાંતિનો માહોલ જાળવવા અપીલ કરી હતી. બીજી બાજુ અલ્પેશ ઠાકોરની પણ મુશ્કેલીઓમાં વધારો થયો છે.
રાજકારણ ગરમાયું
ચૂંટટણી નજીક છે અને અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા હતા ત્યારે ગુજરાતમાં બિહારીઓ પર થયેલ હિંસા અને ધમકીઓની ઘટનાને પગલે અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. અલ્પેશ ઠાકોરે પોતાના પર કીચડ ઉડાડવામાં આવતુ્ં હોવાનું જણાવ્યું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આ મામલે રાજકારણ રમાઈ રહ્યું છે, હું ખુદ બિહારનો પ્રભારી છું ત્યારે બિહારીઓ સાથે આવી કોઈ ઘટના બને તેવું હું ઈચ્છી જ ન શકું. વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે એવો વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં ઠાકોર સેનાના લોકોએ બિહારીઓને બચાવ્યા હોય. અને બની શકે કે કોઈ ઠાકોર સમાજનો વ્યક્તિ આમાં સંડોવાયેલો હોય, પણ અઢી કરોડ ઠાકોર સમાજના દરેક વ્યક્તિ મારું માનતા હોય એવું જરૂરી પણ નથી.
ભાજપ પર રાજકારણ રમવાનો આરોપ
બીજી બાજુ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ આ ઘટના બાદ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે આ મામલે રાજકારણ રમાઈ રહ્યું છે. કોંગ્રેસને બદનામ કરવાનું ભાજપ ષડયંત્ર રચી રહ્યું છે. વધુમાં કહ્યું કે ગુજરાતના ડીઆઈજી ખુદ બિહારના છે અને તેમણે પણ કહ્યું કે પરપ્રાંતિયો સાથેની મારપીટની કોઈ ઘટના નથી બની રહી અને લોકો તહેવાર નજીક હોય પોતાના વતન માદરે પરત જઈ રહ્યા છે. નીતિન પટેલે કહ્યું કે મીડિયાને વિનંતી છે કે ગુજરાત છોડીને જતા પરપ્રાંતિયોને તમે એક પ્રશ્ન પૂછો કે તમને ધમકાવી રહ્યા છે તે લોકો કોણ છે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય નેતાઓને ખૂણામાં ધકેલી અલ્પેશ ઠાકોરને બિહારના પ્રભારી બનાવી દીધા છે અને બીજી બાજુ કોંગ્રેસના લોકો જ મુદ્દાઓને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પરપ્રાંતિયો પરના હુમલા મામલે ભાજપનું ષડયંત્રઃ શક્તિસિંહ ગોહિલ
અલ્પેશે કહ્યું તો રાજીનામું આપી દઈશ
અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરે સદ્ભાવના ઉપવાસ પર બેસનાર છે. ત્યારે અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ પરપ્રાંતિયો પણ અમારા જ છે, અમે આવું રાજકારણ ન રમી શકીએ. મને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જો એવું લાગશે તો 11મી તારીખે સદભાવના ઉપવાસ દરમિયાન હું ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દઈશ. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રેસિડન્ટ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે મોંઘવારી, બેરોજગારી ખેડૂતોની સમસ્યાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે ભાજપનો આ પ્રયાસ છે. કહ્યું કે ભાજપ અલ્પેશને બદનામ કરી રહ્યું છે.
રાહુલ ગાંધીએ ગુજરાતમાં યુપી-બિહારના લોકો પર હુમલાનું કારણ જણાવ્યું