આ તો કેવું પ્રમોશન? શાહરૂખ ખાનનું જીવલેણ પ્રમોશન
રઇઝના પ્રમોશનના ચક્કરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. ત્યારે સવાલ તે છે કે પ્રમોશન માટે રેલ્વે સ્ટેશન જેવી જગ્યાની પસંદગી કેટલી યોગ્ય છે? વાંચો એક વિગતવાર લેખ.
બોલીવૂડમાં દર શુક્રવારે કોઇને કોઇ ફિલ્મ રિલિઝ થાય છે તે ફિલ્મને હીટ કરવા માટે તેના સ્ટાર પર નીતનવી પ્રમોશન સ્ટ્રેટર્જી અપનાવે છે. પણ આ તમામ વાત ત્યાં સુધી ગળે પચે છે જ્યાં સુધી આવા પ્રમોશન કોઇના માટે જીવલેણ સાબિત ના થાય. મુંબઇથી દિલ્હી સુધી ટ્રેનમાં પ્રવાસ કરીને શાહરૂખ ખાન આજે તેમની આવનારી ફિલ્મ રઇઝની પ્રમોશન કર્યું. પણ આ સફરની વચ્ચે વડોદરા રેલ્વે સ્ટેશન પર કંઇક તેવું થયું જેની કલ્પના ના તો શાહરૂખ ખાને કરી હતી નાં જ તેની પ્રમોશન ટીમે.
Read also: રઇઝના પ્રમોશનના ચક્કરમાં એકની મોત
ગુજરાતી ડોન પર આંશિક રીતે આધારીત ફિલ્મ રઇઝના પ્રમોશન માટે મુંબઇ થી દિલ્હી જતી ટ્રેન ગુજરાતના સુરત અને વડોદરામાં પણ રોકાવાની હતી. શાહરૂખ ખાન આવવાનો છે તેમ વિચારીને મોટી સંખ્યામાં લોકો વડોદરા સ્ટેશન પર ઊમટી પડ્યા હતા. આવામાં શાહરૂખ ખાનના આવવાથી વડોદરામાં રેલ્વે સ્ટેશનમાં અચાનક જ ભાગદોડ થઇ અને આ ભાગદોડમાં વડોદરાના એક વ્યક્તિ ફરીદ ખાનનું હદયરોગના હુમલાના કારણે ધટનાસ્થળે જ મોત થઇ ગયું. ત્યારે હવે તે સવાલ ઊભો થાય છે ફિલ્મના પ્રમોશન માટે રેલ્વે સ્ટેશન અને ટ્રેન જેવી જગ્યા કેટલી યોગ્ય છે?
Read also: શાહરૂખ ખાને વ્યક્ત કર્યું દુખ, તો રેલ્વેએ આપ્યા તપાસના આદેશ
|
મૃતકના પરિવારનું નિવેદન
નોંધનીય છે કે મૃતકના પરિવારનું કહેવું હતું કે મૃતક ફરીદ ખાન શાહરૂખ ખાનને મળવા નહીં પણ અન્ય એક સંબંધીને મળવા ગયો હતો. અને અચાનક જ થયેલી ભાગદોડમાં મરી ગયો. જો તેને યોગ્ય સારવાર મળી હોય અને ભાગદોડ ના થઇ હોય તો તે આજે જીવતો હોત. જોવા જેવી વાત એ પણ છે કે આ ભાગદોડ અને લાઠીચાર્જમાં 4-5 લોકો પણ બેભાન થઇ ગયા હતા અને ઇજા ગ્રસ્ત બન્યા હતા. ત્યારે આવું રિસ્કી પ્રમોશન કરવું કેટલું યોગ્ય છે તે વિચારવું જોઇએ.
મુસાફરોની મુસીબતનું પ્રમોશન
તે વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે શાહરૂખ ખાનને જ્યાં તેની ફિલ્મને પ્રમોટ કરવાનું મન થાય છે ત્યાં તેવા પણ અનેક મુસાફરો હશે જેમને આ ટ્રેન કે અન્ય ટ્રેન પકડવાની હશે. અને તેમના માટે આટલી ભીડની વચ્ચે કેવી રીતે આ બધું કરવું શક્ય બન્યું હશે તે રામ જ જાણે.
|
રેલ્વેનો વાંક?
નોંધનીય છે કે રેલ્વે દ્વારા 2 કલાક પહેલા જ પ્લેટફોર્મ ટિકીટો આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પણ તેમ છતાં સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ તે સમયે અંદાજે 8 હજાર લોકો ઊમટી આવ્યા હતા. અનેક લોકોએ જણાવ્યું કે તે પાટા ઓળગી અને કોસિંગ કૂદીને પણ આવી પહોંચ્યા હતા. રેલ્વેએ પણ અત્યારે તો તપાસનો આદેશ આપ્યો છે પણ શાહરૂખ ખાન જેવો મોટો સ્ટાર આવવાનો હોવા છતાં તેમણે પોલિસ જોડેથી વધુ પોલીસકર્મીઓની માંગ નહતી કરી અને તેના કારણે જ છેલ્લી ક્ષણે સ્થિતિ ગંભીર થઇ ગઇ હતી. તે વાત ભૂલવા જેવી નથી.
રેલ્વે પ્રમોશન?
ત્યારે સવાલ તે પણ વિચારવા જેવો છે કે ફિલ્મના પ્રમોશન માટે રેલ્વે સ્ટેશન અને ટ્રેન જેવી જગ્યા કેટલી યોગ્ય છે. તમે પ્રોમોશન ગમે ત્યાં કરી શકો છો. તો પછી તેવી જગ્યાએ પ્રમોશન કેમ કરવું જે અન્ય લોકો માટે જીવલેણ સાબિત થાય? તે વાત પણ વિચારવા જેવી છે કે ચાલુ ટ્રેને આટલી ભીડમાંથી કોઇ વ્યક્તિ ટ્રેન કે ટ્રેક પર ફસડાઇ પડ્યું હોત તો તેના માટે કોણ જવાબદાર ગણાત?
વિવાદો અને રઇઝ
નોંધનીય છે કે રઇઝ ફિલ્મનું જે દિવસથી ટેલર લોન્ચ થયું છે તે દિવસથી તે વિવાદોમાં રહી છે. પહેલા ગુજરાતી ડોન પર ફિલ્મ બનાવવા, પછી તાજિયા પરથી શાહરૂખ ખાનનો સ્ટંટ, તે પહેલા ગુજરાતમાં રઇઝના શૂટિંગ વખતે તેની વિવાદાસ્પદ ટિપ્પણી માટે તેનો વિરોધ થવો અને હવે આ વડોદરાનો અકસ્માત. સાથે તેની પાકિસ્તાની અભિનેત્રીનો વિવાદ પણ ભૂલાય તેવો નથી. ત્યારે આટલા વિવાદો બાદ પણ ફિલ્મ કોઇ પણ પ્રમોશન વગર ખાલી શાહરૂખ ખાનના નામે સફળ જ જવાની છે. તો પછી પ્રમોશન માટે રેલ્વે જેવા સ્થળોની પસંદગી કરી લોકોની મુશ્કેલી કેમ વધારવી?