ઇશરત જહાં કેસ: એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરુણ બારોટની ધરપકડ
સૂત્રો દ્વારા મળી રહેલા સમાચાર અનુસાર ગુજરાતમાં એક સમયે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહેવાતા તરૂણ બારોટની પણ આજે સીબીઆઇ દ્વારા ઇશરત જહાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તરુણ બારોટની ટ્રાન્સફર ઓર્ડરના આધારે ધરપકડ કરવામાં આવી છે. માહિતી પ્રમાણે તરુણ બારોટની સાથે અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ઇશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ દ્વારા આ પહેલા આઇએએસ ઓફિસર ગીરીશ સિંઘલ અને જે.જી પરમારની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ મામલે હજી પણ 16 આરોપીઓ સામે વોરંટ જારી કરવામાં આવ્યા છે. આ કેસમાં હજી વધુ આરોપીઓની ધરપકડ થવાની સંભાવના છે.
આ પહેલા આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર આઇપીએસ અધિકારી ગીરીશ સિંઘલની સીબીઆઇએ ધરપકડ કરી હતી. ગીરીશ સિંઘલ ગાંધીનગર ખાતે એસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સીબીઆઇએ તેમની પર એવો આરોપ લગાવ્યો છે કે ઇશરત જહાં કેસના સાક્ષીઓને તેમણે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ જે ટીમ દ્વારા ઇશરત જહાં એન્કાઉન્ટર થયું હતું તે ટીમનું તેમણે નેતૃત્વ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇશરત જહાં એન્કાઉન્ટર 2004માં અમદાવાદમાં કોતરપુર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. જેમાં ઇશરતની સાથે તેના ત્રણ સાથીઓના પણ એન્કાઉન્ટર કરાયા હતા. આ કેસની તપાસ ગુજરાત હાઇકોર્ટે સીબીઆઇને સોંપેલો છે. આ કેસમાં હજી વધુની ધરપકડ થવાની સંભાવના છે.