ઇશરત કેસ : CBI કરી શકે છે અમિત શાહની પૂછપરછ
અમદાવાદ, 24 સપ્ટેમ્બર : ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અત્યંત નજીક ગણાતા અમિત શાહની પૂછપરછ કરી શકે છે. જેલમાં બંધ આઇપીએસ અધિકારી ડી જી વણઝારાએ પોતાના પત્રમાં કરેલા દાવાઓને આધારી સીબીઆઇ અમિત શાહની પૂછપરછ કરવાનું વિચારી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને વણઝારાએ પત્ર લખીને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અત્યંત નજીકના સૂત્રો દ્વારા ગુજરાત પોલીસની દરેક કામગીરીને પ્રેરિત, નિર્દેશિત અને તેના પર નજર રાખી રહી હતી.
સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું છે કે સાબરમતી જેલમાં સીબીઆઇ પૂછપરછ દરમિયાન વણઝારાએ પોતાના રાજીનામા પત્રમાં લખેલી વાતાને દોહરાવી હતી અને જણાવ્યું હતું કે એન્કાઉન્ટરના જુદા જુદા મામલામાં આરોપી પોલીસ અધિકારી આતંકવાદને પ્રત્યે રાજ્ય સરકારની સમજી વિચારીને ઘડેલી રણનીતિને અંજામ આપવાનું કામ કરી રહ્યા હતા.
ઉચ્ચ પદસ્થ સૂત્રોના જણાવ્યા અનુસાર શાહની પૂછપરછ અંગે હજી સુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત વણઝારાના નિવેદનની તપાસ કરવામાં આવી રહી છે. જો જરૂર લાગશે તો પૂર્વ મંત્રીની પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે એન્કાઉન્ટરના મામલે સીબીઆઇ અનુપૂરક આરોપપત્ર દાખલ કરી શકે છે જેમાં ષડયંત્ર અને ગુજરાત સરકારના અધિકારીઓની તરફથી સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયત્નોની વિગતો હશે.