સુરત: બળાત્કારના આરોપમાં જૈન મુનિની ધરપકડ
સુરત ખાતેથી જૈન મહારાજ શાંતિસાગરની બળાત્કારના આરોપમાં ધરપકડ થઇ હતી.
દિગંબર જૈન સમાજના આચાર્ય શાંતિસાગર મહારાજની બળાત્કારના આરોપ હેઠળ શનિવારે રાત્રે સુરતના અઠવાલાઇન્સ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. શાંતિસાગર મહારાજ પર મધ્ય પ્રદેશની કોલેજમાં ભણતી યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો આરોપ છે કે, તેમણે આશીર્વાદ આપવાના નામે યુવતીને રૂમમાં બોલાવી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. શાંતિસાગરે યુવતી પર 14 દિવસ સુધી બળાત્કાર કર્યો હતો, જે પછી પોલીસે શનિવારે શાંતિસાગર મહારાદની ધરપકડ કરી હતી.
49 વર્ષીય શાંતિસાગર મહારાજને શનિવારે રાત્રે ધરપકડ બાદ મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે શાંતિસાગર મહારાજે પૂરતો સાથ સહકાર નહોતો આપ્યો. તેમણે દાવો કર્યો હતો કે, તેમની પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મેડિકલ ટેસ્ટ બાદ તેમને રાત્રે જ જજના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ રિમાન્ડની માંગ ન કરતાં આરોપી મહારાજને સીધા જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે રિમાન્ડ ન માંગતા અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે.
પીડિતાએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે, પહેલા તો તેણે શાંતિસાગર મહારાજની આ વર્તણૂકનો વિરોધ કર્યો હતો. પરંતુ મહારાજે તેને ડરાવીને કહ્યું કે, જો તે બૂમો પાડશે તો તેના માતા-પિતા મરી જશે. આ ધમકીના કારણે તે ડરી ગઇ હતી. યુવતીના માતા-પિતા માર્ચ 2017થી આ મહારાજના સંપર્કમાં હતા અને તેમને ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા. પીડિતાએ જ્યારે પોતાના માતા-પિતાને આ અંગે જણાવ્યું ત્યારે પરિવાર વડોદરામાં હતો. ઘટના સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં બની હોવાથી તેમને વડોદરા પોલીસ મથકમાંથી સુરત જવાની સલાહ આપવામાં આવી હતી.