બિલ્કીસ બાનોના દોષિતોને છોડવા મુદ્દે જાવેદ અખ્તરની ઉગ્ર પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
ગુજરાત સરકારે જે રીતે બિલ્કીસ બાનો બળાત્કાર અને પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે તેની સર્વત્ર ટીકા થઈ રહી છે. જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ગુજરાત સરકારના આ નિર્ણયની ટીકા કરી છે.
મુંબઈ : ગુજરાત સરકારે જે રીતે બિલ્કીસ બાનો બળાત્કાર અને પરિવારના સભ્યોની હત્યાના 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે તેની સર્વત્ર ટીકા થઈ રહી છે. જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ગુજરાત સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. ટ્વિટર પર સરકારના નિર્ણયની ટીકા કરતા જાવેદ અખ્તરે કહ્યું કે આપણા સમાજ સાથે ચોક્કસપણે કંઈક ગંભીર રીતે ખોટું થઈ રહ્યું છે.
જાવેદ અખ્તરે ગંભીર સવાલો ઉઠાવ્યા
જાવેદ અખ્તરે ટ્વિટ કરીને લખ્યું કે, જેમણે 5 મહિનાની ગર્ભવતી મહિલા પર બળાત્કાર કર્યો, તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરી. આ લોકોએ 3 વર્ષની માસૂમ બાળકીની પણ હત્યા કરી હતી. આ તમામ લોકોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેલમાંથી મુક્ત થયા બાદ તેને મીઠાઈઓ વહેંચવામાં આવી હતી, હાર પહેરાવવામાં આવ્યા હતા. આ લોકો ક્યાય છુપાયેલા નથી, વિચારો, આપણા સમાજમાં કંઈક ગંભીર રીતે ખોટું થઈ રહ્યું છે.
તમામને મુક્ત કરાયા હતા
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 11 દોષિતોની માફી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ ગુજરાત સરકારે એક કમિટીની રચના કરી હતી. આ સમિતિએ આ લોકોને મુક્ત કરવાની ભલામણ કરી અને આ તમામ લોકોને મુક્ત કરવામાં આવ્યા. આ તમામ લોકોને 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.
કોર્ટે નિર્દેશ આ આપ્યો હતો
આ તમામ દોષિતોએ 15 વર્ષ જેલમાં વિતાવ્યા અને ત્યારબાદ આ લોકોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને મુક્તિ માટે અપીલ કરી. જે બાદ કોર્ટે કેન્દ્ર સરકારને આ લોકોની મુક્તિ પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકારને 1992ની નીતિ હેઠળ આ લોકોને માફ કરવા અને મુક્ત કરવા અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. આ પછી સરકારે આ તમામ લોકોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે 3 માર્ચ 2002ના રોજ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો થયો હતો. દાહોદ જિલ્લાના રણધિકપુર ગામમાં બિલ્કીસ બાનોના ઘર પર ટોળાએ હુમલો કર્યો હતો. તે સમયે બિલ્કીસ 5 મહિનાની ગર્ભવતી હતી. બિલ્કીસ પર લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે તે સમયે ગોધરામાં કાર સેવકોને ટ્રેનમાં સળગાવી દેવામાં આવ્યા હતા, જે બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, જે દરમિયાન બિલ્કીસ બાનો સાથે આ ઘટના બની હતી.