જય શાહે કરેલા બદનક્ષી કેસમાં તેને મળ્યો હાઇકોર્ટનો સાથ
જય શાહના બદનક્ષીના કેસને રદ્દ કરવાની ધ વાયરની માંગણી હાઇકોર્ટે નકારી દીધી છે. જાણો આ સમાચાર અંગે વિગતવાર અહીં.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપની દ્વારા ટૂંકાગાળામાં મોટો ફાયદો થયો છે તેવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર ધ વાયર નામની વેબસાઇટ પર જય શાહે બદનક્ષીની ફરિયાદ કરી હતી. જેમાં તેને હવે હાઇકોર્ટનો પણ સાથ મળ્યો છે. જય શાહે પત્રકારો અને ધ વાયરના માલિક વિરુદ્ધ નોંધાવેલી બદનક્ષીની ફરિયાદ કરી હતી તેને રદ્દ કરવા અરજી હાઇકોર્ટે ફગાવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ધ વાયર નામની વેબસાઇટે એક અહેવાલ લખી ઘટસ્ફોટ કર્યો હતો કે નોટબંધી અને જીએસટી જેવી આર્થિક સમસ્યાઓની વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી પીએમ થયા ત્યારથી એક વર્ષના ટૂંકાગાળામાં જય શાહની કંપનીએ 50 થી 80 કરોડનું ટર્નઓવર કર્યું હતું. અને પછી તે કંપની બંધ કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ખબરથી ચૂંટણી સમયે કોંગ્રેસ સમેત વિપક્ષી નેતાઓએ ભાજપ પર આ અંગે અનેક આરોપો કર્યા હતા. રાહુલ ગાંધી ગુજરાતની અનેક સભામાં જય શાહને શાહજાદા કહીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર ટિપ્પણીઓ કરી હતી. અને તે પછી વિવાદ વધતા જય શાહે આ અહેવાલ છાપનાર પત્રકાર અને ધ વાયરના માલિકો સમક્ષ 100 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો હતો. અને કોર્ટ દ્વારા પણ આ અંગે સમન્સ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. જો કે તે પર ધ વાયરના માલિકોએ હાઇકોર્ટેમાં આ કેસ રદ્દ કરવાની અરજી કરી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દેતા હવે મેટ્રો કોર્ટમાં આ અંગે આગળ કાર્યવાહી થશે.