જિજ્ઞેશ મેવાણીની અપીલ, વર્ષ 2019માં વેમુલાની માતા લડે ચૂંટણી
જિજ્ઞેશ મેવાણીએ રોહિત વેમુલાને લોકસભાની ચૂંટણી લડવા કરી અપીલ સ્મૃતિ ઇરાની પર સાધ્યું નિશાન આ અંગે વધુ વાંચો અહીં...
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની નજર હવે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પર મંડાઇ હોય એમ લાગે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ જીત મેળવ્યા બાદ તેમના ઇરાદા વધુ મજબૂત બન્યા હોય એમ લાગે છે. તેમણે હાલમાં જ એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે રોહિત વેમુલાની માતા(રાધિકા વેમુલા)ને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી લડવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, રોહિત વેમૂલાની માતાએ લોકસભા ચૂંટણીમાં ઉતરવું જોઇએ અને સંસદ પહોંચી સ્મૃતિ ઇરાનીને પાઠ ભણાવવો જોઇએ. હૈદ્રાબાદ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાને બે વર્ષ પૂર્ણ થયા ત્યારે જિજ્ઞેશ મેવાણી હૈદ્રાબાદ પહોંચ્યા હતા અને રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલા સાથે મુલાકાત કરી હતી. સાથે જ તેમણે દલિત નેતા માંડા કૃષ્ણ માડિગા સાથે પણ મુલાકાત કરી હતી. તેલંગણાની સરકારે માડિગાની ધરપકડ કરી હતી.
રાધિકા વેમુલાને મળ્યા બાદ જ તેમણે ટ્વીટ કરી તેમને ચૂંટણી લડવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, હું અમારી પ્રેરણા રાધિકા વેમુલા(અમ્મા)ને અપીલ કરું છું કે, તેઓ 2019ની લોકસભાની ચૂંટણી લડે અને મનુસ્મૃતિ ઇરાનીને સંસદમાં પાઠ ભણાવે. તેમણે કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં પણ રાધિકા વેમુલાને ચૂંટણી પ્રચારની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કર્ણાટક ચૂંટણીમાં રાધિકા વેમુલા ભાજપ અને સંઘ પરિવારની હાર સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પ્રચાર કરે. ઉલ્લેખનીય છે કે, દલિતો પર થતા અત્યાચાર મામલે જિજ્ઞેસ મેવાણી સતત સવાલ કરી રહ્યા છે અને મોદી સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. તેમણે પોતાના આ ટ્વીટમાં કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની પર નિશાન સાધતા તેમને 'મનુસ્મૃતિ' કહી વ્યંગ કર્યો છે.