સંઘ પરિવાર અને ભાજપે મારી છબી બગાડવાનો પ્રયાસ કર્યો છે: જીજ્ઞેશ મેવાણી
ભીમા કોરેગાંવ હિંસા અને તે પછી દલિત નેતા જીજ્ઞેશ મેવાણી પર થયેલા કેસ અંગે જીજ્ઞેશ મેવાણીએ આજે સ્પષ્ટતા આપી છે. જાણો આ અંગે વિગતવાર અહીં.
ભીમા કોરેગાંવ હિંસામાં ભડકાઉ ભાષણ આપવા મામલે કેસ દાખલ થતા ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ શુક્રવારે એક પ્રેસવાર્તા કરીને જણાવ્યું છે કે સંઘ પરિવાર અને ભાજપ મારી છબીને બગાડવાનો "ચાઇલ્ડીશ" પ્રયાસ કર્યો છે. આ બધું ગુજરાતના પરિણામોના કારણે થઇ રહ્યું છે. સાથે જ તેમને એમ લાગે છે કે 2019માં પણ તે જીતી નહીં શકે તે ભય જોઇ જતા તેમણે આવો પ્રયાસ કર્યો છે. વધુમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે મારા ભાષણમાં એક શબ્દ પણ તેવો નહતો જે ઉશ્કેરણી જનક હોય. મને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. મારા ભાષણનો કોઇ પણ ભાગ તેવો ભડકાઉ નહતો. વધુમાં જીજ્ઞેશ કહ્યું કે જ્યારે હિંસા થઇ ત્યારે હું ત્યાં હાજર નહતો. ના જ મેં બંધમાં ભાગ લીધો છે. સાથે જ જીજ્ઞેશ કહ્યું કે મારું આખું ભાષણ નેટ પર છે તેને કોઇ પણ સાંભળીને નક્કી કરી શકે છે કે મેં તેમાં કંઇ અયોગ્ય નથી કહ્યું. તે પછી પણ મારી પર કેસ કરી દેવાનું કારણ મને સમજાતું નથી.
જીજ્ઞેશ કહ્યું કે હું વ્યવસાયે વકીલ છું અને હંમેશા કાનૂનના દાયરામાં રહીને જ કામ કરું છું. મેં મારા જીવનમાં ક્યારેય કાનૂન બગાડવાનું કામ નથી કર્યું. વધુમાં મેવાણીએ કહ્યું કે પ્રજા દ્વારા હું ચૂંટાઇને આવેલા પ્રતિનિધિ છું. તેમ છતાં મારી જોડે આ રીતનું વર્તન થઇ રહ્યું છે. જે જોતા તમે અંદોજો લગાવી શકો છો કે દેશમાં ગરીબો, મજૂરો અને દલિતો સાથે શું થતું હશે? જીજ્ઞેશે કહ્યું કે જે ગુજરાતમાં ભાજપ 150 સીટોની વાતો કરતું હતું ત્યાં તેને 99 સીટો જ મળી. મેં ગુજરાતમાં તેનું ધમંડ તોડ્યું છે. મારો પ્રોફાઇલ સતત વધતો જોઇને હવે જ્યારે 2019માં ભાજપને મારાથી ખતરો દેખાઇ રહ્યો છે ત્યારે તે મને ટાર્ગેટ કરી રહી છે.