ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સંયુક્ત સચીવ અનિલ પટેલ સસ્પેન્ડ
ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ અનિલ પટેલ સસ્પેન્ડ
યાત્રાધામ વિકાસ બોર્ડના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયાનો આરટીઆઇ એક્ટિવિસ્ટ સાથેનો યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલિન સંયુક્ત સચીવ અનિલ પટેલને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ આ ઓડિયો રેકોર્ડિંગની ભાષા પર પણ સવાલ ઉઠાવ્યા છે. રાજ્ય સરકારે આ અંગે તપાસના આદેશ પણ આપ્યા છે. અનિલ પટેલ વર્તમાનમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક સચિવ તરીકે ફરજ બજાવે છે.
કૌભાંડ ખુલ્લું પાડવા હાઇકોર્ટમાં જવાની તૈયારી
રાજ્યના પ્રવાસન વિભાગમાં થતાં ભ્રષ્ટાચારમાં ઉપરથી નીચે સુધી તમામ અધિકારીઓ કે પદાધિકારીઓ સામેલ હોવાનો દાવો કરતી આ કથિત ઓડિયો ક્લિપમાં અનિલ પટેલ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ સાથેની વાતચીત છે. જેમાં પાવાગઢ યાત્રાધામના વિકાસ કાર્યોમાં થતાં ભ્રષ્ટાચાર અંગે સંવાદ છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાવાગઢમાં 110 કરોડની બાંધકામની કામગીરી ચાલે છે. જેમાં કાર્યપાલક ઇજનેર અને યાત્રાધામના ટ્રસ્ટી દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી 100 થી 125 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજ્યવ્યાપી બે થી અઢી હજાર કરોડનું આ કૌભાંડ હોવાનો આરટીઆઇ એક્ટિવિસ્ટે દાવો કર્યો છે. આ કૌભાંડ મામલે જો સરકાર તપાસ નહીં કરે તો ના છૂટકે જાહેર હિતની અરજી કરવા પણ તૈયારી દર્શાવી છે.
અનિલ પટેલને ફરજ પરથી કર્યા સસ્પેન્ડ
પાવાગઢની સાથે દ્વારકા, મહેસાણાનું બહુચરાજી મંદિરન કામમાં પણ મોટા કૌભાંડ થયાનું ખુદ સંયુક્ત સચિવ રહી ચૂકેલા અનિલ પટેલ ઓડિયો ક્લિપમાં સ્વિકારી રહ્યા છે. જોકે ઓડિયો વાયરલ થયા બાદ અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કરવાનો હુકમ સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંગે કર્યો હતો. જેમાં, અનિલ પટેલને નવો કોઈ હુકમ ન થાય ત્યાં સુધી ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ભ્રષ્ટાચારનો મુદ્દો હોટ ફેવરિટ
રાજ્યમાં તાજેતરમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઘણો હોટ ફેવરિટ બની ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તાજેતરમાં મહેસુલ વિભાગ અને હોમ ડિપાર્ટમેન્ટમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવી ચુક્યા છે. મુખ્યપ્રધાને આ વિભાગો ભ્રષ્ટાચાર માટે બદનામ હોવાનું પણ જણાવ્યું હતું. જેના કારણે, મહેસુલ વિભાગના નારાજ કર્મચારીઓએ ક્લેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર સામે જ બાંયો ચઢાવી હતી. કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ પણ કર્યો હતો. આખરે સચીવ સાથેની મુલાકાત બાદ મામલો થાળે પડ્યો હતો.
ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાના બદલે અધિકારીને સસ્પેન્ડ કર્યા
યાત્રાધામ વિકાસ બોર્ડના નામે રાજ્યના પ્રવાસન સ્થળોને વિકસાવવાની સરકારની યોજનામાં થતાં વિકાસ કાર્યોની ગ્રાંટમાં કરોડોની કટકી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારનો ઓડિયો બહાર આવતાં ખરેખર સરકારે ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાના બદલે સરકારે પ્રથમ સંયુક્ત સચીવને જ સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે, હવે આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેશે કે તપાસના નામે ફીંડલું વાળશે ?