ગુજરાતભરમાં મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
ઉના મુદ્દે ખાંભામાં એક્ટિવિસ્ટની ધર્મ પરિવર્તનની માંગણી
ઉના દલિત અત્યાચારના મુદ્દે ખાંભાના આરટીઆઇ એક્ટિવિસ્ટ ભીખુભાઈ બાટાવાળાએ ધર્મ પરિવર્તન માટેની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. તેમણે અરજીમાં લખ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમુક કટ્ટરવાદી સંગઠનો અસહિષ્ણુતા ફેલાવી રહ્યા છે. દલિતો તથા લઘુમતીઓ અને કચડાયેલા દબાયેલા વર્ગ પર હુમલા, દમન ગુજારવાની વધી રહેલી ઘટનાઓથી મારુ હૃદય દ્રવી ઉઠતા હું હિંદુ ધર્મ છોડી ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરવા મજબૂર બન્યો છે. આ અરજી આરટીઆઇ એક્ટિવિસ્ટે અમરેલી જિલ્લા કલેક્ટરને લખી છે.
અમદાવાદમાંથી પકડાયું સેક્સ રેકેટ
અમદાવાદ શહેરમાં ઇસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટેલમાંથી હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું હતું. મહિલા ક્રાઇમબ્રાન્ચ દ્વારા દરોડા પાડીને રશિયાની તથા મુંબઈની યુવતીઓને છોડાવી હતી તેમજ બે દલાલોની ધરપકડ કરી હતી. આરોપીઓ રશિયાથી બોલાવેલ યુવતી માટે ગ્રાહકદીઠ રૂપિયા 15 હજાર જ્યારે મુંબઇની યુવતીઓ માટે ગ્રાહકદીઠ રૂપિયા 10 હજાર લેવામાં આવતા હતાં. જેમાં આરોપી દલાલ મીન્ટુસિંગ અને રાજેશ પંડિત ઝડપાયા હતા આ રેકેટ આરોપી મીન્ટુસીંગની પત્ની હેન્ડલ કરતી હતી.
ખંભાળિયામાં અનરાધાર વરસાદ 4 કલાકમાં 8 ઇંચ વરસાદ
જામનગરના જામ ખંભાળિયામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા સવર્ત્ર પાણી પાણી થઈ ગયુ હતું. જામનગર તેમજ આસપાસમાં શુક્રવારે બપોરે બાદ શરૂ તયેલા વરસાદને કારણે કેટલીક જગ્યાએ વીજળી પણ ઠપ થઈ ગઈ હતી. જોકે અમદાવાદમાં વરસાદ ન થતા વાતાવરણમાં ભેજ વધ્યો છે અને બફારાનું પ્રમાણ પણ વધ્યું છે પોરબંદરમાં 2, નવસારી, જલાલપોર, જૂનાગઢ, ગીર-સોમનાથ, હિંમતનગર, તાજપુર કૂઈમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
પાસ દ્વારા 19 ઓગસ્ટના રોજ સ્વાભિમાન યાત્રાનું આયોજન
વિજાપુર પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આગામી 19-8-2016ના રોજ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને આવેદન આપવા માટે ખરોડથી સ્વાભિમાન યાત્રા શરૂ કરવાનું આયોજન છે આ પદયાત્રામાં પાટીદારો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર જશે. આ પદયાત્રા સવારે 8 કલાકે ખરોડથી શરૂ થઈ વિજાપુરથી આનંદપુરા-રણાસણ-પુંધરા થઇ લોદરામાં રાત્રિ રોકાણ કરશે અને રાત્રે ડાયરો યોજાશે. ત્યાર બાદ 20મીએ સવારે લોદરાથી પદયાત્રા ગાંધીનગર જવા રવાના થશે અને બપોરે 1 કલાકે ગાંધીનગરમાં સભા બાદ સીએમને આવેદન અપાશે.
સુરત: બોયફ્રેન્ડે અંગત પળોનો વીડિયો વાયરલ કરતા પ્રેમિકાનો આપઘાત
સુરતનાએક યુવતીએ તેની અંગત પળોનો વીડિયો જાહેર થઈ જતા ઓએનજીસી પુલ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. અને યુવતીએ સ્યૂસાઇટ નોટમાં આપઘાતનુ કારણ પણ લખ્યું હતું. યુવતીને બિનહિન્દુ યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેણે ચોરીછૂપે લગ્ન પણ કરી લીધા હતા. ત્યાર બાદ યુવકે તેમની અંગત પળોનો વીડિયો ઉતાર્યો હતો. અને વીડિયા તથા ફોટા યુવકે પોતાના ગ્રુપમાં ફરતા કરતા યુવતીએ પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાની બીકે આ અંતિમ પગલુ લીધું હતું.
મહુવામાં દલિતો તથા કોંગ્રેસે કાળા વાવટા ફરકવી વિરોધ કર્યો
મહુવામાં 12 કરોડ 86 લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરવા માટે આવેલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો કોંગ્રેસે કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. સભા મંડપમાં દલિત આગેવાનો દ્વારા સમઢીયાળા પ્રકરણે ન્યાય માંગવાના મામલે સૂત્રોચ્ચાર કરતા પોલીસે 20 થી વધુ દલિત કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. બાદમાં મુખ્ય મંત્રીએ સેવા સદનના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી ત્યાર બાદ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કુશળ ગામ કાલસરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નારી સંરક્ષણગૃહમાંથી ભાગેલી સગીરાઓમાંથી 7 ઝડપાઈ
અમદાવાદના ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર 14 સગીરાઓમાંથી 7 સગીરાઓ ઝડપાઈ ગઈ છે. ગત રાતે 8 કલાકે નારીગૃહમાં અન્ય યુવતીઓ તથા મહિલાઓ ઉંઘવાની તૈયારા કરી રહ્યા હતા તો કેટલાક પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે વોર્ડનની આંખમાં મરચું નાખી એક સાથે ૧૪ સગીરા દિવાલ કૂદીને ભાગી ગઈ હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરતા, સવાર સુધીમાં પોલીસને 7 સગીરાને શોધવામાં સફળતા મળી છે. પોલીસ તપાસમાં સંસ્થાની મહિલા કર્મચારીઓના અસહ્ય માનસિક ત્રાસના કારણે આ ઘટના બની છે.