શું ખોડલઘામના નરેશ પટેલે રાજીનામું આપ્યું? હાર્દિકે ટ્વિટ કરી શું કહ્યું?
ખોડલઘામના ચેરમેન પદેથી નરેશ પટેલને અચાનક જ રાજીનામું આપતા થયો છે વિવાદ. વધુમાં હાર્દિક પટેલે પણ આ અંગે કર્યું છે ટ્વિટ. જાણો શું છે સમગ્ર મામલો અહીં.
મંગળવારે, પાટીદારની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલઘામના ચેરમેન નરેશ પટેલે રાજીનામું આપી દીધું છે. નરેશ પટેલ દ્વારા અચાનક જ રાજીનામું આપતા પટેલ સમાજમાં અલગ અલગ પ્રકારની ચર્ચા અને પ્રશ્નો ઊભા થયા છે. માનવામાં આવી રહ્યું છે કે ખોડલઘામ ટ્રસ્ટમાં કોનું વર્ચસ્વ વધુ તે મામલે આંતરિક વિવાદ વધતા તેના પગલે તેમણે આ રાજીનામું આપ્યું છે. જો કે નરેશભાઇએ મીડિયા સમક્ષ આ રાજીનામું આપવાની વાતની જાહેરાત કરી હતી. પણ બીજી બાજુ ખોડલધામ બોર્ડમાં હજી અધિકૃત રીતે તેમણે બોર્ડ સમક્ષ તેમનું રાજીનામું નથી મૂક્યું અને બોર્ડે હજી તેમનું રાજીનામું સ્વીકાર્યું પણ નથી. જો કે આ વાત બહાર આવતા કેટલાક યુવકો દ્વારા આ વાતનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. અને ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
તો બીજી તરફ પાટીદાર નેતા તેવા હાર્દિક પટેલે તેના અધિકૃત સોશ્યલ એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને જણાવ્યું છે કે નરેશ ભાઇ સાથે દગો થયો છે. હાર્દિકે કહ્યું કે "શ્રી ખોડલધામ-કાગવડ એ પાટીદાર સમાજ ની ભક્તિ માં એકતા નું સ્થાન છે. અમુક ટ્રસ્ટીઓ ના ભગવાકરણ ના કારણે શ્રી નરેશભાઈ પટેલે રાજીનામુ આપ્યું છે. નરેશભાઈ મૌન છે પણ હકીકત આ છે. ખાનગી સૂત્રો અને સમાજ ના મુખ્ય આગેવાનો આ સત્ય ના શૂર સાથે સહમત પણ હશે. નરેશભાઈ સાથે દગો કરવામાં આવ્યો છે." ઉલ્લેખનીય છે કે આ રાજીનામાં પાછળ રાજકીય કારણો પણ જવાબદારથી તેવી ચર્ચાઓ ઊઠી છે. વળી નરેશભાઇ દ્વારા રાજીનામાંની વાત મીડિયા સમક્ષ મૂકતા પાટીદાર યુવાનો પણ જૂથ બંધી જોવા મળી છે. અને નરેશ પટેલને સપોર્ટ કરતા યુવાનોએ આ અંગે આંદોલન કરવાની વાત પણ કરી છે.