માં-દિકરાનું મિલન, 12 વર્ષીય બાળકનો અપહરણ બાદ પોલિસ દ્વારા બચાવ
મંગળવારે, અમદાવાદમાં સરળતાથી નાણાં કમાવાની લાલચે અપહરણકર્તાઓએ એક 12 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. જય પટેલ નામનો આ બાળક તેની માતા સોનલબેન જોડે અમદાવાદના ચાંદલોડિયામાં આવેલા સિલ્વર સ્ટારમાં રહે છે. અપહરણકર્તાઓએ બાળકને ઉઠાવી જઇને પાછળથી 15 લાખ રૂપિયા ખંડણીપેટે સોનલબહેન જોડે માંગ્યા હતા. નોંધનીય છે કે સોનલબેનના પતિ અમેરિકામાં રહે છે. ત્યારે પોતાના બાળકનું અપહરણ થયું છે તે જાણીને આખો પરિવાર ભયના ઓથારે આવી ગયો હતો.
તેમ છતાં સોનલબેન હિંમત બતાવીને પોલિસને જાણ કરી હતી. તો સામે પક્ષે અમદાવાદ પોલિસે પણ ત્વરિત પગલા લઇ મોબાઇલ લોકોશન ટ્રેસ કરી હતી. બાળકના ગુમ થયાના 32 કલાકની અંદર જ પોલિસે અપહરણકર્તાઓ નડિયાદથી પકડી પાડ્યા હતા. અને બાળકને સહી સલામત તેમનાથી છોડાવી લાવ્યા હતા. નાલંદા સ્કૂલમાં ભણતો 12 વર્ષનો જય આ આખા અપહરણ પ્રકરણથી ખૂબ જ ડરી ગયો હતો.
અને આ તમામ સ્થિતિને પાર કરીને જ્યારે માં અને દિકરાનું પોલિસ સ્ટેશનમાં મિલન થયું ત્યારે હદયદ્વાવક દ્રશ્યો સર્જાયા હતા. માં અને દિકરો બન્ને કેટલીય વાર સુધી એકબીજાને ભેટીને રડી પડ્યા હતા. જો કે જયથી હાલત જોઇને મંગળવાર મોડી રાતે પોલિસે વધુ પુછપરછ કર્યા વિના માતાને સોંપ્યો હતો. આ મામલે આજે પોલિસ મીડિયા સાથે પ્રેસકોન્ફર્ન્સ યોજી વધુ માહિતી આપશે. ત્યારે અમદાવાદ પોલિસની ત્વરિત કામગિરી ખરેખરમાં સરાહનીય રહી હતી.