139 રથયાત્રા પહેલા જાણો આ તમામ વસ્તુઓ...
હવે અમદાવાદની સુપ્રસિદ્ધ 139મી રથયાત્રા નીકળવાને કલાકોની વાર છે ત્યારે સમગ્ર અમદાવાદ યુદ્ધ છાવણીમાં ફેરવાઇ ચૂક્યું છે. પોલીસ દ્વારા કોઇ પણ અનિચ્છનીય બનાવ ના થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાના પૂરતા પગલા લેવામાં આવ્યા છે. વળી આ રથયાત્રામાં 8 ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદથી અવકાશી માર્ગે પણ પોલીસ બાજ નજરે આ સમગ્ર કાર્યક્રમ પર નજર રાખશે.
આજે સોનાવેશ દર્શન બાદ સાંજે 6:30 મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મહાઆરતી અને પૂજન કરવામાં આવશે. બુધવારે સવારે 7 વાગે મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ બાદ આ યાત્રાનો પ્રારંભ થશે. ત્યારે જગતના નાથ તેવા જગન્નાથ ભગવાનની આ રથયાત્રા પહેલાની તમામ તૈયારીઓ વિષે જાણો નીચેના આ આર્ટીકલમાં...
પોલિસ બંદોવસ્ત
139મી રથયાત્રા પહેલા કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તંત્ર દ્વારા પૂરતો પોલિસ બંદોવસ્ત કરવામાં આવ્યો છે. અને આ માટે ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. સાથે જ ડ્રોન અને સીસીટીવીથી આ આખા માર્ગ પર નજર રખાશે.
ચેતક કમાન્ડો યુનિટ કરશે રક્ષા
આ માટે ખાસ ચેતક કમાન્ડો યુનિટના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPF ની 14 સ્થાનિક ટુકડીઓ, 5600 હોમગાર્ડ કમાન્ડો, BDDS અને ડોગ સ્કોર્વ્ડને પણ સમગ્ર રથયાત્રા દરમિયાન ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે.
બે ભાગમાં કરાશે વ્યસ્થા
રથયાત્રાની તમામ વ્યવસ્થાને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક મૂવિંગ અને અન્ય સ્ટેડિંગ. જેમાં 91 જીપી અને ડીઆઇજીપી અધિકારીઓ સુપરવિઝન કરશે. સાથે જ 31 પોલિસ અધીક્ષક, 81 નાયબ પોલિસ અધિક્ષક ફરજ બજાવશે
14.2 કિલોમીટર લાંબો રૂટ
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રથયાત્રાના 14.2 કિલોમીટર લાંબા રૂટ ઉપર 52 મંદિરો, ૬૮ મસ્જીદો, ત્રણ દેરાસર તથા એક ચર્ચ આવે છે. રમઝાન માસનો પ્રારંભ થઈ ગયો હશે તો બપોરે અને સાંજની નમાઝના સમય કોઇ પણ રીતની અગવડતા ના પડે અને દરેક ધર્મની સુવિધા સચવાય તે માટે તંત્રએ પ્રયાસ કર્યા છે.
રસોડામાં ધમધમાટ
રથયાત્રા દરમિયાન મગ, જાંબુના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. જે માટે પાછલા અઠવાડિયાથી જ જગન્નાથના મોસાળ સરસપુરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આનંદીબેન કરશે પૂજા
આજે મુખ્યમંત્રી આનંદીબેન રથયાત્રાની મહાઆરતીમાં ભાગ લેશે અને બુધવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના હસ્તે મંગળાઆરતી કરવામાં આવશે. જે બાદ પહિંદ વિધિની વિધિ બાદ રથયાત્રાની વિધિવત શરૂઆત કરવામાં આવશે.
જગતના નાથની રથયાત્રા
આ વખતની રથયાત્રામાં 18 ગજરાજો સાથે 30 અખાડા, 101 શણગારેલી ટ્રકો તથા બેન્ડબાજા, રાસ અને ભજન મંડળી સમેત 2000થી વધુ સંતો નાથની નગરયાત્રામાં સામેલ થશે.