પહેલા ચેનલ હેડ અને હવે ગુજરાતના સીએમના ઉમેદવાર, જાણો ઈસુદાન ગઢવીની રાજનીતિક સફર!
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચાર માટે જોર લગાવી રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાના સીએમ પદના દાવેદારની ઘોષણા કરી દીધી છે.
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચાર માટે જોર લગાવી રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાના સીએમ પદના દાવેદારની ઘોષણા કરી દીધી છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, સીએમના ઉમેદવાર માટે લોકો પાસેથી નામ મંગાવવામાં આવશે. જેને ગુજરાતની જનતા પસંદ કરશે તેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. હવે પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર બન્યા
આમ આદમી પાર્ટી પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં પગપેસારો કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે હવે મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. ઈસુદાન ગઢવીએ ગુજરાતની રાજનીતિમાં બહુ થોડા સમયમાં મોટુ નામ કર્યુ છે.
ઈસુદાન મુળ જામનગર જિલ્લામાંથી આવે છે
ઈસુદાન ગઢવી વિશે લોકો બહુ ઓછુ જાણે છે. ઈસુદાન ગઢવીનો જન્મ દેવભૂમી દ્વારકાના ખંભાળીયા તાલુકામાં થયો હતો. તેમને તેમનું પ્રારંભિક શિક્ષણ જામ ખંભાળીયામાં પુરૂ કર્યુ હતુ. ત્યારબાદ કોમર્સમાં ગ્રેજ્યુએશન કરીને તેઓ મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં જર્નલિઝમનો અભ્યાસ કરવા પહોંચ્યા. જર્નલિઝમનો અભ્યાસ કર્યા બાદ તેઓ પહેલા રિપોર્ટર અને ત્યારબાદ ગુજરાતી ન્યૂઝ ચેનલ વીટીવી ગુજરાતીના ચેનલ હેડ બન્યા. વીટીવીમાં તેમનો મહામંથન શો ખૂબ જ લોકપ્રિય થયો. અહીંથી ઈશદાન ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયા. ઈસુદાન ગુજરાતના પહેલા એવા એન્કર હતા જે આટલા લોકપ્રિય છે.
મહામંથનથી ઓળખ મળી
મહામંથનમાં તેમના મુદ્દા અને ગામડી શૈલીએ ઇસુદાનને સ્ટાર બનાવી દીધા. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં તેમની લોકપ્રિયતા ખૂબ જ વધી હતી. ઇસુદાન ગઢવીનો પરિવાર આજે પણ ખેતી સાથે જોડાયેલો છે. ઈસુદાને વારસામાં મળેલી ખેતી અને પત્રકારત્વના અભ્યાસને સાથે મેળવીને એક નવો અધ્યાય લખી નાંખ્યો.
ચેનલ હેડનું પદ છોડીને રાજકારણમાં જોડાયા
ઈસુદાન ગઢવી ગયા વર્ષે જ ચેનલ હેડનું પદ છોડીને રાજકારણમાં જોડાયા હતા. જૂન 2021માં રાજીનામું આપ્યા બાદ આ મહિનામાં જ અરવિંદ કેજરીવાલને મળ્યા અને આદમી આદમી પાર્ટીમાં જોડાયા. AAPમાં જોડાયા બાદ ઇસુદાને કહ્યું કે તેઓ વર્ષોથી લોકોના પ્રશ્નો ઉઠાવશે.
ઈસુદાન ઓબીસી ચહેરો છે
40 વર્ષીય ઇસુદાન ગઢવી ઓબીસી વર્ગમાંથી આવે છે. ગુજરાતમાં ઓબીસીના લગભગ 48 ટકા મત છે. ગુજરાતના રાજકોટ, જામનગર, કચ્છ, બનાસકાંઠા અને જૂનાગઢ જિલ્લામાં ગઢવી સમાજની હાજરી છે. વસ્તીની દ્રષ્ટિએ ગઢવી સમાજનો હિસ્સો એક ટકાથી ઓછો છે. ઈસુદાન ગઢવીની લોકપ્રિયતા અને સ્વચ્છ ઈમેજ આદમી આદમી પાર્ટીના સીએમ ફેસ બનવામાં કામ કર્યું. ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી માટે ઇસુદાન ગઢવી ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર હાલમાં ભાજપનો કબજો છે. આમાંથી મેઘજી કણઝારિયા ધારાસભ્ય છે. જો ઇસુદાન આ બેઠક પરથી ચૂંટણી નહીં લડે તો તેઓ રાજકોટથી ચૂંટણી લડી શકે છે.
દારૂ પીવાનો આરોપ લાગ્યો
આ વર્ષે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી હતી. આ દરમિયાન ઇસુદાન ગઢવી પણ ભાજપના કાર્યાલય શ્રી કમલમ ખાતે વિરોધ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના પર ભાજપની મહિલા કાર્યકરોની છેડતી અને દારૂનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી બાદ ઇસુદાન ગઢવીને પણ જેલમાં જવું પડ્યું હતું. જ્યારે એફએસએલ રિપોર્ટમાં દારૂ પીવાની પુષ્ટિ થઈ ત્યારે ઇસુદને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પર રિપોર્ટ બદલવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ દારૂ પીતા નથી. ગઢવીએ પોતાને દેવીના ઉપાસક ગણાવ્યા હતા.