જેલની બહાર આવ્યા બાદ હાર્દિક પટેલ શું કરશે, જાણો અહીં...
હાર્દિક પટેલને હવે જેલની બહાર આવવાના ખાલી બે દિવસ બાકી છે. હાર્દિક પટેલને જે રીતે વિસનગર, સુરત અને અમદાવાદ કેસમાં શરતી જામીન મળ્યા છે તે મુજબ તે જેલમાંથી છૂટ્યા બાદ બે દિવસ સુધી ગુજરાતમાં રહી પોતાનો સામાન અને રહેવાની વ્યવસ્થાની તૈયારી કરી શકે છે. અને પછી તેને ગુજરાત છોડીને જવું પડશે. ત્યારે 6 મહિના ગુજરાત બહાર જતા પહેલા જેલમાંથી નીકળીને બે દિવસ સુધી હાર્દિક શું કરશે તેનો આખો કાર્યક્રમ જાણો અહીં.
નોંધનીય છે કે પાસ કન્વીર હાર્દિક પટેલ પાછલા 9 મહિનાથી જેલમાં છે. અને તે જ્યારે 15મી જુલાઇએ આ સજા પૂર્ણ કરીને બહાર નીકળશે ત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા લોકોએ હાર્દિક પટેલના આ વેલકમ માટે ભવ્ય તૈયારીઓ કરી રાખી છે. ત્યારે હાર્દિક પટેલનો આ કાર્યક્રમ શું છે. અને તે પછી તે ગુજરાતની બહાર કયા રાજ્યમાં રહેશે તે વિષે વધુ માહિતી વાંચો અહીં...
ગ્રાન્ડ વેલકમ!
જેલમાંથી જ્યારે હાર્દિક પટેલ 15મી તારીખે છૂટશે ત્યારે પાસ સમિતી અને હાર્દિકના પરિવાર દ્વારા તેને ગ્રાન્ડ વેલકમ આપવામાં આવશે. 15 જુલાઈના રોજ સવારે 11 કલાકે જેલમાંથી બહાર આવશે ત્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાંથી હજારો ગાડી ભરીને લોકો સુરત લાજપોર ખાતે એકઠી થશે. અને હાર્દિક સાંજ સુધી સુરતમાં રહે છે.
ગબ્બર ઇઝ બેકના પોસ્ટર
પાટીદારોએ સુરત શહેરમાં "ગબ્બર ઇઝ બેક", "હાર્દિક ઇઝ બેક"ના પોસ્ટર પણ લગાવી દીધા છે. વળી હાર્દિકની જેલની બહાર આવવાની ખુશી પર પાટીદારોએ પોતાના આ યુવા નેતાને આવકારવાની જોશભેર તૈયારીઓ કરી છે. સાથે જ જેલથી બહાર આવી હાર્દિક શહેરમાં રોડ શો પણ કરશે.
ભગવાનના ચરણોમાં શીશ
હાર્દિક 16 જુલાઈના રોજ સારંગપુર જવા રવાના થશે. ત્યાર બાદ કાગવડ ખોડલ ધામના દર્શન કરશે. ખોડલધામમાં સૌરાષ્ટ્રના કન્વીનરો અને કાર્યકર્તાઓ જોડાશે.
ઉમિયાધામના દર્શન
ત્યારબાદ સિદસર ઉમિયાધામ જવા રવાના થશે. ઉમિયાધામમાં માતાજીના દર્શન કરી ભાયાવદર ગામમાં એકઠાં થયેલા 25 હજાર પાટીદારો દ્વારા હાર્દિકનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને પાટીદારો સાથે લોકસંવાદ કરશે.
વિશાળ બાઇક રેલી
ત્યારબાદ હાર્દિક રાજકોટ જવા રવાના થશે. રસ્તામાં ટંકારાથી મોરબી સુધી વિશાળ બાઈક રેલી યોજવામાં આવશે.
17મીએ વિરમગામ
રેલી બાદ હાર્દિક પોતાના ઘરે વિરમગામ જવા રવાના થશે અને 17 જુલાઈના રોજ હાર્દિક ગુજરાત છોડીને રાજસ્થાન જવા રવાના થશે.
રાજસ્થાન હવે હાર્દિકનું નવું ઘર
શરતી જામીન મુજબ હાર્દિક પટેલ 6 મહિના સુધી ગુજરાતની બહાર કયા રાજ્યમાં રહેશે તે પર અનેક અટકળો થઇ રહી હતી. પણ હવે નક્કી થયું છે કે હાલ પૂરતું હાર્દિક પટેલ રાજસ્થાનમાં રોકાશે. અને ત્યાંથી પાટીદાર અનામત આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચલાવશે.