નીતિનભાઇને CM બનાવો, લાલજી પટેલની માંગ
એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ નીતિન પટેલને મળવા પહોંચ્યા. નીતિન પટેલને મળીને નીતિન પટેલને સીએમ બનાવવા માંગણી સાથે 1 જાન્યુઆરીએ મહેસાણા બંધ કરવાની જાહેરાત કરી.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને તેમના રિસામણા પર ચાલી રહેલા વિવાદ પર એક પછી એક નવા નિવેદનો સામે આવી રહ્યા છે. ભાજપ અને પાટીદાર સમાજના અનેક નેતાઓ એક પછી એક તેમના ઘરે મળવા પહોંચી રહ્યા છે. ત્યારે 100થી વધુ સમર્થકો સાથે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ, નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા. અને તેમણે સમર્થકો સાથે નીતિન પટેલ સાથે મુલાકાત કરીને તેમના ઘરની બહાર ઊભેલી મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે નીતિન પટેલ સીએમ બને. સાથે જ લાલજી પટેલે કહ્યું હતું કે નીતિન પટેલ નારાજ છે.
વધુમાં એસપીજીના લાલજી પટેલે, ૧ જાન્યુઆરી સોમવારે મહેસાણા બંધ રાખવાની જાહેરાત પણ કરી હતી. લાલજી પટેલે વધુમાં કહ્યું હતું કે ભાજપની સરકારમાં હંમેશા પાટીદાર નેતાઓ સાથે અન્યાય થતો આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે જો માંગ નહીં સંતોષાય તો બે દિવસમાં પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે. સાથે જ તેમણે ગુજરાત બંધની વાત પણ કહી હતી. અને નીતિન પટેલને સમર્થન આપવા તૈયારી બતાવી હતી. લાલજી પટેલે જણાવ્યું કે સરકાર બનાવવામાં નીતિનભાઈનો મહત્વનો ફાળો રહેલો છે. અને તેમની સાથે અન્યાય થયો છે. ઉલ્લેખનીય છે કે લાલજી પટેલ પહેલા હાર્દિક પટેલે પણ નીતિન પટેલને સમર્થન આપવાની અને કોંગ્રેસમાં આવવાની ઓફર કરી હતી.