ગોધરાકાંડમાં 2 દોષિતોને આજીવન કેદ, 3 નિર્દોષ જાહેર
ગોધરાકાંડ મામલે આજે અંતિમ ચુકાદો આવી ગયો છે. એસઆઈટીની વિશેષ કોર્ટે કુલ બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
અમદાવાદઃ ગોધરાકાંડ મામલે આજે અંતિમ ચુકાદો આવી ગયો છે. એસઆઈટીની વિશેષ કોર્ટે કુલ બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ફારુખ ઉર્ફે ભાણો અને ઈમરાન શેરુને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ પણ વાંચો- ગોધરાકાંડમાં ક્ષતિ પામેલ ધાર્મિક સ્થળો અંગે SCનો ચુકાદો
શું હતો સમગ્ર મામલો
27મી ફેબ્રુઆરી 2002ના રોજ ફૈજાબાદથી અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે આવી રહેલી સાબરમતી એક્સપ્રેસમાં સવાર કેટલાય મુસાફરોને ખ્યાલ પણ નહીં હોય કે આ તેમની અંતિમ સફર હશે. ટ્રેન ગોધરા પહોંચી ત્યારે એસ-6 ડબ્બાને કોઈએ સળગાવી દીધો હતો ઘટનાને પગલે આ કોચમાં બેઠેલા 59 કારસેવકો જીવતાં ભડથાં થઈ ગયા હતા.
રમખાણો ફાટી નીકળ્યાં હતાં
ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ઠેર-ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આરોપીઓને સજા ફટકારવા માટે સાબરમતી જેલમાં વિશેષ કોર્ટ બોલાવવામાં આવી હતી. આ કેસમાં સૌથી પહેલા 2015માં મધ્ય પ્રદેશથી હુસૈન સુલેમાનની ધરપકડ થઈ હતી. જ્યારે 2016માં મહારાષ્ટ્રથી ભુમેડીને ઝડપી પાડવામાં આવ્યો હતો. વર્ષ 2015-16 દરમિયાન કુલ 5 આરોપીઓ પકડાયા હતા જેમાંથી 2ને આજીવન કેદની સજા અને ત્રણને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે SITનું ગઠન કર્યું
સુપ્રીમ કોર્ટે 2008માં આર.કે. માધવનના નેતૃત્વમાં એસઆઈટીનું ગઠન કર્યું હતું. 22 ફેબ્રુઆરી 2011ના રોજ અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતે આ કેસમાં 31 જણાને દોષિત ઠેરવી 63ને નિર્દોષ જાહેર કર્યા હતા. અગાઉ દોષિતોને નીચે જણાવ્યા મુજબ સજા ફટકારવામાં આવી હતી.
11ને થઈ હતી ફાંસીની સજા
ગોધરાકાંડમાં બિલાલ ઈસ્માઈલ ઉર્ફે હાજી બિલાલ, અબ્દુલ રઝાક કુરકુર, રમઝાની બિન યામીન બેહરા, હસન અહેમદ ચરખા, જાબીર બીનયામીન બહેરા, મહેબૂબ ચંદા, સલીમ યુસૂફ જર્દા, સિરાઝ મોહમ્મદ મેડા, ઈરફાન કલંદર, ઈરફાન પાતળિયા અને મહેબૂબ હસન લતિકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
20ને આજીવન કેદની સજા
સુલેમાન અહેમદ હુસેન, અબ્દુલ રહેમાન ધંતીયા, કાસીમ અબ્દુલ સાર બિરયાની, શૌકત મૌકલી ઈસ્લામલ બદામ, અનવર મોહમ્મદ મેહડા ઉર્ફે લાલુ, સિદ્દીક માટુંગા, મહેબૂબ યાકૂબ મીઠા ઉર્ફે પોપા, શોહેબ યુસુફ અહેમદ કલંદર, અબ્દુલ સાર પાતળિયા, સિદ્દીક મહમ્મદ મોરા, અબ્દુલ સાર ઈબ્રાહિમ અસલા, અબ્દુલ રઉફ ઈબ્રાહિમ અસલા, યુનુસ અબ્દુલ રઝાક સમોલ ઉર્ફે ભાણો, બિલાલ અબ્દુલા બદામ, હાજી ભૂરિયો ઉર્પે ફારુક, અયૂબ અબ્દુલ ગની ઈસ્માઈલ પાતળિયા, ઈરફાન સિરાઝ પાડો ગાંચી, મહમ્મદ હનીફ મૌલવી ઈસ્લામ બદામ અને શૌકલ યુસૂફ મોહનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.