રાજકોટ ખાતે યોજાયો મેગા જોબફેર,રાજ્યમંત્રીએ કર્યું ઉદ્ધાટન
દેશના માર્ગ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશના યુવાનોને રસ પડે તે ક્ષેત્રમાં નોકરી અને રુચિ મુજબ શિક્ષણ આપવું એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.
રાજ્યના યુવાનોને રોજગારી પુરી પાડવા માટે રાજ્યભરમાં યોજાઈ રહેલા 11 મેગા જોબ ફેર પૈકી એક રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રાંગણમાં યોજાયો હતો, જેના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઉપસ્થિત યુવાનોને હાંકલ કરતા જણાવ્યું હતું કે, દેશમાં પેદા થતી 10 માંથી 7 નોકરી ગુજરાત સર્જે છે. ત્યારે પ્રત્યેક લાયક ઉમેદવારને તેની લાયકાત મુજબની નોકરી મળી રહે તે માટે રાજ્ય સરકારે ખંતપૂર્વકના પ્રયત્નો આદર્યા છે. નોકરીદાતાઓ જે તેમની જરૂરિયાત મુજબનું કૌશલ્યસભર માનવબળ પૂરું પાડવા અને નોકરી ઇચ્છુકોને રોજગાર આપવા માટેનું એક યોગ્ય પ્લેટફોર્મ મેગા જોબ ફેર છે. જે માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. એમ પણ શ્રી માંડવિયાએ ઉમેર્યુ હતું.
રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સંયુકત ઉપક્રમે યોજાયેલા મેગા જોબ ફેરમાં ઉપસ્થિત યુવાનોને સંબોધતા કેન્દ્રીય મંત્રી માંડવિયાએ તેમના યુવાવયના સંસ્મરણો વાગોળ્યા હતા. અને રોજગારી સર્જન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની વિગતો રજૂ કરી હતી. રાજયભરમાં કાર્યરત 54 યુનિવર્સિટીઓ થકી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિપુલ તકો સાંપડી છે. જેનો લાભ લઇ ગુજરાતનો પ્રત્યેક યુવાન સ્વનિર્ભર બને, તેવી શુભેચ્છા માંડવિયાએ ઉપસ્થિતિ યુવાનોને પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધક્ષેત્રની 219 જેટલી કંપનીઓએ છ હજારથી વધુ જગ્યાઓ માટે 18 હજારથી વધુ ઉમેદવારો માટે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે 294 સ્ટોલ નાખવામાં આવ્યા હતા. રાજ્યભરના 11 જિલ્લાઓમાં યોજાઈ રહેલા મેગા જોબફેર થકી ગુજરાતમાં વિકાસની નવી લહેર દોડશે તેવો વિશ્વાસ ભાજપે વ્યક્ત કર્યો હતો.