લાંચકાંડ: આરોપી પર ફેંકાઇ શાહી, કોર્ટે આપ્યા રિમાન્ડ
વડોદરા કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો મનસુખ શાહને. કોંગ્રેસી કાર્યકર્તાઓએ શાહી ફેંકીને કર્યો વિરોધ
વાઘોડિયાની સુમનદીપ યુનિવર્સિટીમાં એસીબીએ દરોડો પાડીને વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહને સોમવારે રંગે હાથે વિદ્યાર્થીને પાસ કરવવા માટે 20 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા. ત્યારે મેડિકલ અને શિક્ષણ જગતને હચમચાવનાર આ કેસમાં આજે કોર્ટ સમક્ષ મનસુખ શાહ અને અન્ય બે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા.વડોદરાની સેશનકોર્ટમાં આરોપી મનસુખ શાહ સમેત વિનોદ સાવંત અને અશોર ટેલર નામના આરોપીઓને પણ કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એસીબીએ આરોપીઓના 14 દિવસના રીમાન્ડ માંગ્યા હતા અને તેની સામે એસીબીએ કોર્ટમાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. જેમાં સૌથી મોટો મુદ્દો અનેક વિદ્યાર્થીઓ સાથે મનસુખ શાહે કરોડોની છેતરપીંડી કરી હોવાનો, અને 101 કરોડના ચેકોની તપાસ કરવાનો હતો. જે પરથી એસીબીએ 14 દિવસના રીમાન્ડ માગ્યા હતા.
પરંતુ મનસુખ શાહના વકીલે મનસુખ શાહ ટ્રસ્ટી છે તેથી એસીબી આ કેસમાં કાર્યલાહી ન કરી શકે અને મનસુખ ભાઇ પ્રાઇવેટ સંસ્થા ચલાવે છે જેથી ઇડી કે પોલીસ આવા કેસમાં તપાસ કરે તેવી માંગણી કરી હતી. અને 101 કરોડના ચેક મુદ્દે રીમાન્ડની જરૂર નથી તે બેંકમાંથી વિગતો મળી શકે છે તેવી દલીલ આપી હતી. આ તમામ બાબતોને ધ્યાને રાખીને નામદાર કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. અને હવે 4થી માર્ચના રોજ તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે કોર્ટના રીમાન્ડ મેળવ્યા બાદ મનસુખ શાહ પર કોંગ્રેસના કાર્યકરોએ શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.
Read Also: વિદ્યાર્થીને પાસ કરવા જતા મનસુખ શાહ, ACB હસ્તે થયા નાપાસ
પરંતુ પોલીસની સમયસુચકતાને કારણે મનસુખ આબાદ રીતે બચી ગયો હતો. જ્યારે વિનોદ સાવંત કોંગ્રેસના કાર્યકરોના હાથે ચડી ગયો હતો અને તેના પર કાર્યકરોએ કાળી શાહી નાખીને મોં કાળુ કર્યુ હતુ. જે સમયે હાજર પોલીસ કર્મીઓ પર પણ શાહી પડી હતી. જેથી પોલીસે ચાર કાર્યકરોની અટકાયત પણ કરી હતી.નોંધનીય છે કે વડોદરા લાંચ કેસની તપાસ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગેહલોત ને સોંપાઈ છે. પી આર ગેહલોત, ACB વડોદરા ઝોનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. સૌ પ્રથમ પી આઈ જે. જી પટેલને તપાસ સોંપાઈ હતી. પણ પાછળથી કેસ ની ગંભીરતા જોઈ સિનિયર અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. સાથે અન્ય ત્રણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તથા તેઓની ટીમ પણ મદદમાં રહેશે.