પક્ષમાં હતો પક્ષમાં રહીશ પણ બસ સાંસદ તરીકે: મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની મોદી સરકારના મંત્રીમંડળમાંથી હાલકપટ્ટી કરવામાં આવી છે. જે બાદ તેમણએ ગુરુવારે રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજીને પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે મનસુખ ભાઇ આદિજાતિ વિભાગના મંત્રી હતા. તેમણે મુખ્યમંત્રી આનંદીબેન અને નિતીન પટેલ પર તેમના વિરુદ્ધ નરેન્દ્ર મોદીની કાનભંભેરણી કરવાનો આરોપ મૂક્યો હતો. અને આ પદ પરથી તેમની હાલકપટ્ટી માટે પણ તેમણે આ લોકોને જવાબદાર ગણાવ્યા હતા.
રાજપીપળા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મનસુખ વસાવા કહ્યું કે તેમણે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય જેવા મુદ્દીઓને લઇને અનેક કામ અને રજૂઆતો કરી છે. તેમણે કહ્યું કે "મંત્રી તરીકે મે મારી કામગીરી નિષ્ઠાથી નીભાવી છે. મેં હંમેશા સાચી રજૂઆતો કરી છે અને આગળ પણ હું સાચું બોલતો રહીશ"
જો કે પદ પરથી હાલકપટ્ટી મામલે બોલતા મનસુખભાઇએ કહ્યું કે "તે પક્ષમાં હતા અને પક્ષમાં જ રહેશે." પણ હવેથી અન્ય કોઇ હોદ્દો નહીં સંભાળે ખાલી પોતાના સાંસદ તરીકેની ભૂમિકાને પૂર્ણ રીતે નીભાવાનો પ્રયાસ કરતા રહેશે. સાથે જ તેમણે આગમી ચૂંટણીમાં બીજેપીને જીત પ્રત્યે આશાવાદ વ્યક્ત કર્યો હતો.