અમદાવાદમાં ગુમ થયેલું 25 કિલો સોનું મળ્યું, પણ ઓછું
માહિતી અનુસાર નવા વાડજમાં આવેલી એક સિક્યોરિટી કંપની દ્વારા ન્યુયોર્કથી આયાત કરાયેલું 500 કિલોનું સોનાનું પાર્સલ છોડાવ્યું હતું. જેમાંનું એક 25 કિલોનું પાર્સલ રસ્તામાં પડી ગયું હતું. જે અંગેની ફરિયાદ નારણપુરા પોલીસ મથકે નોંધાવાઇ હતી. એક તરફ પોલીસે તપાસ હાથ ધરી હતી , તો બીજી તરફ શાસ્ત્રીનગર પાસે ગેરેજ ચલાવતા અશ્વિન શુક્લએ આ પાર્સલ પોતાની પાસે હોવાનું પોલીસને જણાવ્યું હતું.
પોલીસે આ પાર્સલ તેમની પાસેથી મેળવ્યું હતું, પરંતુ તપાસ કરતાં તેમાં એક કિલો સોનું ઓછું હતું. જેથી પોલીસે પૂછપરછ આદરી હતી. જેમાં ગેરેજના માલિકે જણાવ્યું છે કે, આ એક કિલો સોનાના બિસ્કિટ તેમના ગેરેજમાં કામ કરતા કારીગર દ્વારા ચોરી લેવામાં આવ્યા હશે. સોનાનું પાર્સલ 36 કલાક કરતા પણ વધુ સમય પોતાની પાસે રાખ્યા બાદ પોલીસને એ જ પાર્સલ અંગે જાણ કરવા બદલ ગેરેજનો માલિક શંકાના ઘેરામાં છે. પોલીસને શંકા છે કે ગેરેજનો માલિક કંઇક છૂપાવી રહ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.