જીજ્ઞેશે મુક્યો ભ્રષ્ટાચારનો આરોપ, અલ્પેશે આપ્યું અલ્ટિમેટમ
ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોએ શપથ લીધા બાદ પહેલા જ દિવસથી અપક્ષ ચૂંટણી જીતેલ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક્શન મોડમાં આવી ગયા છે
ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોએ શપથ લીધા બાદ પહેલા જ દિવસથી અપક્ષ ચૂંટણી જીતેલ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પ્રથમ દિવસથી જ સરકારને નિશાના પર લીધી છે. જીજ્ઞેશ મેવાણીએ ક્યું હતું કે, મને સચિવાલાયમાં ચાલતા કૌભાંડ વિશે જાણકારી મળી હતી. સરકાર દ્વારા પટાવાળાને આપવામાં આવતા પગારમાંથી દર મહિને કેટલાક રૂપિયા સરકાર ખાઇ જાય છે. સચિવાલયમાં કુલ 100 જેટલા પટાવાળા કામ કરે છે, જેમનો પગાર 9576 રૂપિયા છે. જેમાંથી દર મહિને પટાવાળાના ખાતમાં 2500 રૂપિયા ઓછા જમા થાય છે.
જીજ્ઞેશ સરકાર પર આરોપ લગાડતાં આગળ કહ્યું કે, આ રીતે અત્યાર સુધીમાં સરકાર કુલ 18 કરોડ રૂપિયા ખાઇ ગઇ છે. તેમણે આ મામલે જરૂર પડતાં ધરણાં પર બેસવાની અને કાયદાકીય પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. તો બીજી બાજુ રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્યએ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યાં છે. તેમણે શપથ લીધા પછી આ મામલે સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે, આનું જો તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉત્તર ગુજરાતના ધારાસભ્યો મોરચો કાઢી મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચશે.