ગુજરાતે યુવાપેઢીને સામર્થ્યવાન-કૌશલ્યવાન બનાવાની પહેલ કરી છેઃ મુખ્ય મંત્રી
સ્વામી વિવેકાનંદ યુવા સંમેલન અને પ્રતિભાશોધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ માટેના આ સમારોહમાં નરેન્દ્ર મોદીએ યુવાનોને ભારતમાતા માટે સમર્પિત થઇને સ્વાભિમાન અને ભક્તિભાવપૂર્વક સમાજ ધર્મ અને દેશ માટેનો કર્તવ્ય નિભાવવા પ્રેરક આહવાન અનેકવિધ દ્રષ્ટાંતો સાથે આપ્યું હતું. આઝાદીની લડતમાં જે રીતે સમાજે ગાંધી માર્ગે રચનાત્મક પ્રવૃત્તિનું આંદોલન યુવાનોની બૌદ્ધિક શારિરીક ક્ષમતા અને શક્તિને યોગ્ય અવસર મળે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ રહેવાનું છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને આવા ઉર્જાવાન ક્ષમતાવાન યુવાનો ઉપર કેટલો ભરોસો હતો તેની પ્રેરક ભૂમિકા આપી હતી. ભારતમાતા એક દિવસ જરૂરથી જગત ગુરુ બનશે એવું તેમનું સપનું સાકાર કરવા માટેનો પડકાર યુવાશક્તિ ઝીલી લે એવું મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ કેન્દ્રની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આખા યુરોપની જેટલી યુવા જનસંખ્યા છે તેના કરતા ભારતની યુવા સંખ્યા વધારે છે. પરંતુ છતાં દેશના દરેક યુવાનને દર્દ થાય તેવી વાત છે કે પાકિસ્તાનના સૈનિકો આપણા બે સૈનિકોના સર કલમ કરીને લઇ જાય છે છતા આપણી સરકારનું લોહી ઉકળતું નથી. તે પીડાદાયક છે.
વિવેકાનંદના પ્રેરણામૂર્તિ માનતા મોદીએ જણાવ્યું કે ગુજરાતની સ્થાપના દિવસને શહાદત વહોરનારા દૂધમલિયા યુવાનોએ ગોળી ઝીલી હતી તેના કારણે ગુજરાત આપણને મળ્યું હતું. કોંગ્રેસની તત્કાલિન સરકારને તો ગુજરાત આપવું જ ન્હોતું પરંતુ મહાગુજરાત ચળવળના લડવૈયા શહિદોથી મળેલા ગુજરાત શાસનનો કબજો લેનારા જ આ મહાગુજરાતની લડતના શહિદી-ખમીરના ઇતિહાસને ભૂલાવી દેવા બધાજ પ્રયાસો કરીને, શહીદ સ્મારકની યુવા ખાંભી બનાવવા આઠ વર્ષ સુધી યુવાનોને લાઠીઓ મારતા રહ્યા. જ્યારે સને 2001 પછી આવેલી આ વર્તમાન સરકારે 1લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે યુવા શહીદોના સ્મરણાંજલિ કાર્યક્રમને શરૂ કરેલો છે.
મોદીએ જણવ્યું કે જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જયના નારા સાથે કહ્યું કે દેશની યુવાશક્તિની માનસિકતા સ્વાર્થની નથી પરંતુ કોઇ દિવસ દેશમાં એવો નહીં ઉગતો હોય કે કેન્દ્રની સરકારના ભ્રષ્ટાચાર કૌભાંડોની ઘટનાઓ બહાર ના આવતી હોય. મોદીએ જણાવ્યું કે ગુજરાતના નવનિર્માણ માટે અને ભ્રષ્ટ સરકારને ઉખાડી ફેંકવા માટે જવાનીયાઓએ ગોળીઓ ઝીલી હતી. આ ગાંધીની અને સરદારની ભૂમિ છે. દેશ કમનસીબે લૂંટાઇ રહ્યો છે. ભ્રષ્ટાચારના ભોરિંગ સામે યુવાનોના માનસમાં યુવાપેઢીનું ભવિષ્ય બગાડવા માટે આક્રોશ જાગવો જ જોઇએ એવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં ભારતની યુવા સંપદાના બૌદ્ધિક કૌશલ્ય પ્રત્યે આશાવાદ છે, ત્યારે ગુજરાતની સરકારે સ્કીલ ડેવલપમેન્ટની જે ઉત્તમ કામગીરી યુવાનો માટે કરી છે તેને ભારત સરકારનો બેસ્ટ સ્કીલ ડેવલપમેન્ટનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતમાં સશક્ત અને સામર્થ્યવાન સંકલ્પને વરેલી, પુરુષાર્થ માટેનું એડીચોટીનું જોર લગાવી આવતીકાલના ગુજરાત માટે જાત ઘસી નાખનારી યુવાપેઢી તૈયાર કરવા આ સરકાર પ્રતિબદ્ધ છે. યુવાનોનું ભવિષ્ય રોળી નાખવાનો કોઇને અધિકાર નથી. યુવાશક્તિ આજ આવતી કાલ બંનેની ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે.