જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છેઃ મોદી
છત્તિસગઢમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોદીએ ટ્વિટર થકી પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, આ એક બિહામણો હુમલો છે, જે લોકતંત્ર પર થયો છે. હવે સમય આવી ગયો છે કે, આતંકવાદ અને નક્સલવાદ જેવી સમસ્યાઓને પહોંચી વળવા માટે આકરામાં આકરી ઝીરો ટોલરેન્સ પોલીસીને અપનાવવામાં આવે.
તેમણે ઉમેર્યુ છે કે, આ હુમલાનો ભોગ બનનારાના પરિવારજનો અને પોતાની જીવનને હોમી દેનારા પોલીસકર્મીઓ પ્રત્યે મને સહાનુભૂતિ છે, ઇજાગ્રસ્તો સાથે મારી દૂઆઓ છે અને તેઓ ફરી સામાન્ય જીવન જીવવા લાગશે. એક રાષ્ટ્ર તરીકે એકઠાં થવાની અને લોકતંત્ર માટે ખતરો બની ગયેલી સમસ્યાને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે.
નોંધનીય છે કે, શુક્રવારે કોંગ્રેસ દ્વારા છત્તિસગઢમાં પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન નક્સલીઓ દ્વારા આ રેલીમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 27થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પણ છે.